લખપતના હરોડામાં વીજળી પડતા ૯૩ પશુઓના મોત થયાં

મંગળવાર, 27 જૂન 2017 (17:00 IST)
લખપત તાલુકાના અંતરીયાળ ગામ એવા હરોડામા મંગળવારે વહેલી પરોઢે વીજળી પડવાના કારણે ૬૯ ઘેટા અને ર૪ બકરાના મોત થયા હતા.  વીજળીના કારણે ગભરાઈ ગયેલા માલધારીને પણ સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો.  નિત્યક્રમ મુજબ અકીમ હમીરઅલી મંધરા રાબેતા મુજબ તેનુ ઘેટા બકરાનું પશુધન લઈ ચરિયાણ અર્થે ગયો હતો. વહેલી સવારે પાંચ વાગ્યે અચાનક જ વીજળી પડતા સ્થળ પર જ ૯૩ ઘેટા બકરાના મોત થયા હતા. 

માલધારી પરિવારને અંદાજીત ૬ લાખ રૃપિયાનું નુકશાન થયું છે.  ઘટનાના પગલે તાલુકા પશુતબીબ વી.બી.બારોટ અને તલાટી હસનભાઈ લંઘા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ત્યા જ મૃત પશુઓમાંથી અમુકનું પીએમ કરવામાં આવ્યું હતું. વીજળી ત્રાટકવાના કારણે બળી જવાથી તેમના મોત થયાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પશુપાલન આજીવીકા પર નિર્ભર માલધારીને રૃ. પ.પ૮ લાખનું નુકશાન ગયું છે. સરકારી નિયમ પ્રમાણે વીજળી પડવાથી નાના પશુનું મોત થાય તો ઘેટા બકરા દીઠ રૃ. ૩ હજારનો વળતર ચુકવવામાં આવે છે જે રૃ. ર.૭૯ લાખનું વળતર ચુકવવા પાત્ર છે જોકે બજારમાં નાના પશુનો ભાવ છએક હજાર જેટલો છે આમ તેને પ૦ ટકા રકમ વળતર રૃપે મળશે.

વેબદુનિયા પર વાંચો