ભાજપમાં સંગઠનમાં આંતરિક વિખવાદ વકરતાં પ્રભારી મંત્રીઓ કામે લાગ્યાં

મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (12:43 IST)
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે બંને મુખ્ય પક્ષો હવે જોર લગાવી રહ્યાં છે. કોંગ્રેસમાં શરુઆતથી જ કકળાટ વ્યાપેલો છે જ્યારે હવે ભાજપ પણ તેમાંથી બાકાત નથી રહ્યો. ભાજપમાં પણ આંતરિક વિખવાદે જોર પકડ્યું છે. ભાજપના સ્થાનિક સંગઠનમાં આંતરિક વિખવાદ, જૂથબંધી અને નારાજગી દૂર કરવા માટે પ્રભારી મંત્રીઓને જવાબદારી આપવામાં આવી છે. જિલ્લાકક્ષાના સંગઠનોમાં આ પ્રકારની નારાજગી જાણીને પ્રદેશ માળખાને રીપોર્ટ કરાશે સાથે સંગઠનના હોદ્દેદારોએ સરકારમાં સૂચવેલા બાકી કામો અંગે સંકલન કરવા પણ પ્રભારી મંત્રીઓને સૂચના આપવામાં આવી છે.ચૂંટણી પહેલા સંગઠનમાં આંતરિકસ્તરે વિખવાદ ન રહે અને ચૂંટણી પ્રચારની કામગીરી આયોજનબદ્ધ થાય, ચૂંટણી ટાણે નારાજગી બહાર ન આવે તે માટે મંત્રીઓ દ્વારા પોતાના પ્રભારી જિલ્લામાં બેઠકોનો દૌર શરૂ કરાયો છે. શહેર, તાલુકા અને જિલ્લાકક્ષાના સંગઠનના હોદ્દેદારો સાથે મંત્રીઓ બેઠક યોજી રહ્યા છે. સરકારમાં કામો નહીં થતા હોવાની સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોની વ્યાપક ફરિયાદો હોવાથી તેમના ક્યા કામો પડતર છે તેની પણ વિગતો મેળવવામાં આવી છે.
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર