8 હજાર કરોડ રૂપિયાના ગોટાળાની તપાસ માટે વડોદરામાં CBIએ ધામા નાંખ્યા

શનિવાર, 13 ઑક્ટોબર 2018 (15:45 IST)
વડોદરાની સ્ટર્લિંગ ગૃપ ઓફ કંપનીઝ અને ડાયમંડ પાવર ગૃપ ઓફ કંપનીની વધુ તપાસ માટે દિલ્હી સી.બી.આઈ.ની ટીમે વડોદરા ખાતે બે દિવસ માટે આવી પહોંચી છે. સમગ્ર તપાસનો રીપોર્ટ અંતે કેન્દ્ર સરકારને સુપ્રત કરવામાં આવશે, તેમ માહિતી પ્રાપ્ત થઈ છે. ડાયમન્ડ પાવરના રૂ. 2,600 કરોડ અને સ્ટર્લિગ ગૃપ સામે રૂ.૫૩૮૩ કરોડની બાકી લોન અંગે તપાસ એજન્સીઓએ ફરિયાદ નોંધી છે.

વડોદરાની સ્ટર્લિંગ ગૃપની સામે રૂ.૫૩૮૩ કરોડની બેંક લોન કૌભાંડના હવાલા કૌભાંડ અને ડાયમંડ પાવર ગૃપના સંચાલકો દ્વારા વિવિધ કંપનીઓ ઉભી કરી રૂ.૨,૬૦૦ કરોડના બેંક લોન કૌભાંડ અંગે સીબીઆઈમાં ફરિયાદ થઈ હતી. ડાયમંડ પાવરના અમિત અને સુમિત ભટનાગરે વિવિધ કંપનીઓ ઉભી કરી રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી રૂ.૫,૦૦૦ કરોડની લોન મેળવી તે લોન ભરપાઈ કરી નહી. તેમણે કંપનીના શેરો ગીરવે મુક્યા હતા. એટલું જ નહી બોગસ દસ્તાવેજી પુરાવા અને ઓછી કિંમતની મિલકતોનું વધુ વેલ્યુએશન કરાવીને લોન મેળવી હતી. રૂ.૨,૬૦૦ કરોડના લોન કૌભાંડ અંગે સી.બી.આઈ.માં ભટનાગર બંધુઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ ફરિયાદમાં સીબીઆઇના ગુજરાતમાં ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જમા કરેલા પુરાવા અને તેઓની અન્ય કંપનીઓની માહિતીની ચકાસણી દિલ્હી સી.બી.આઇ. અધિકારીઓની ટીમે કરી હતી. અમિત ભટનાગર કેસમાં જવાબદાર બેન્કના કેટલાક અધિકારીઓ અને ડાયરેકટરો અંગેની પણ માહિતી મેળવવામાં આવી છે. એજ પ્રમાણે સ્ટર્લિંગ ગૃપના સંચાલક નિતિન અને ચેતન સાંડેસરા દ્વારા વિવિધ કંપનીઓ ઉભી કરી રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી રૂ.૧૭૦૦૦ કરોડની લોન મેળવી હવાલા કૌભાંડ કર્યું એટલું જ નહીં આવકવેરાના દરોડા દરમ્યાન વર્ષ ૨૦૧૧ની ડાયરી મળી આવી છે.
જેમાં આઇ.પી.એસ., આઇ.એ.એસ., આઇ.આર.એસ. અધિકારીઓ સહિત કેટલાક રાજકારણીઓના નામો પણ ખુલ્યા છે. વર્ષ ૨૦૧૧ની ડાયરીમાં ઇન્કમટેક્સના ત્રણ કમિશનર કક્ષાના અધિકારીઓના નામ ખુલતા તેમની સામે સી.બી.આઇ.એ ફરિયાદ દાખલ કરી હતી. સ્ટર્લિગ ગૃપ હવાલા કૌભાંડ આચરવા ૧૪૪ શેલ કંપનીઓ ઉભી કરી હતી જે અંગેની તપાસ પણ ચાલી રહી છે. અા કેસ બાબતે સીબીઅાઈના 2 અધિકારીઅો વચ્ચે ગજગ્રાહ પણ ચાલી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર