કચ્છમાંથી પાકિસ્તાની ત્રાસવાદીઓ ગુજરાતમાં ઘૂસ્યા હોવાના ઈનપુટ મળતાં પોલીસ દોડતી થઈ

ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (16:18 IST)
કચ્છમાં 4થી વધુ ત્રાસવાદીઓ  ઘૂસ્યા હોવાની માહિતી મળતાં સમગ્ર વિસ્તારમાં અલર્ટ કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની ત્રાસવાદીઓ ગુજરાત બોર્ડર થઈને અંદર ઘૂસ્યા હોવાના ઈનપુટ મળ્યાં છે, જેને પગલે કચ્છ પોલીસ દોડતી થઈ ગઈ છે. SOGની પાંચ ટૂકડી સહિત સ્થાનિક પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે તાત્કાલિક અસરથી વાહન ચેકિંગ અને શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી રહી છે

કેન્દ્રીય એજન્સીમાંથી મળેલા ઈન્ટેલિજન્સના પગલે કચ્છ સરહદે બોર્ડર સિક્યોરિટી ફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના જવાનોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. કચ્છ પોલીસ દ્વારા સરહદી ગામો અને વિસ્તારોમાં ગત રાત્રિથી ઠેર ઠેર નાકાબંધી કરી સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પેટ્રોલિંગમાં લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશ્યલ ઓપરેશન ગૃપને જોડવામાં આવ્યા છે. વિવિધ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સરહદી પંથકના ગામોમાં ગત રાત્રિથી જ સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગૃહવિભાગની સૂચનાના પગલે ગત રાત્રિથી જ કચ્છભરમાં સરહદને સાંકળી લેતા વિસ્તારો સહિત સમગ્ર જિલ્લામાં ખૂણે-ખૂણે પોલીસનું પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું છે. મરીન અને કોસ્ટલ પોલીસ મથકના સ્ટાફે પણ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર