જૂનાગઢમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનું હાર્ટ એટકથી મોત થયું

ગુરુવાર, 22 નવેમ્બર 2018 (15:07 IST)
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીનું આજે હૃદયરોગના હુમલાને કારણે મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે આંતરિક પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીને હાર્ટએટેક આવ્યો હતો. વિદ્યાર્થી બીટેકના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું માલુમ પડ્યું છે. મૃતક વિદ્યાર્થીનું નામ મનીષ પંડ્યા છે. વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.બીજી તરફ શિક્ષણ જગતને શરમાવવું પડે એવો એક બનાવ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના હસનાપુર પ્રાથમિક શાળામાંથી સામે આવ્યો છે. અહીં વિદ્યાર્થિનીઓ પાસે વાસણ સાફ કરાવવામાં આવતા હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. મળતી માહિતી પ્રમાણે શાળા શરૂ થયા પહેલા સંચાલકો વિદ્યાર્થિનીઓ પાસે વાસણ સાફ કરાવતા હતા. એટલું જ નહીં શિક્ષકો ઓરડાની સાફ સફાઈ પણ કરતા હોવાનું માલુમ પડ્યું છે. વાયરલ વીડિયોમાં શિક્ષકો આરામ કરતા નજરે પડી રહ્યા છે.જૂનાગઢ જિલ્લાના જ વિસાવાદર તાલુકાના જેતલવડ ગામ ખાતે ગામલોકોએ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો છે. મળતી માહિતી પ્રમાણે ગામના લોકોએ શાળાની નબળી કામગીરીનો વિરોધ કરીને શિક્ષણકાર્યનો બહિષ્કાર કર્યો હતો. આ અંગે તંત્ર હાલ કંઈ પણ બોલવા તૈયાર નથી. ગામલોકોના જણાવ્યા પ્રમાણે સ્કૂલની નબળી કાર્યવાહી અંગે અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં આ અંગે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. આથી કંટાળીને વાલીઓએ આખરે પોતાના બાળકોને સ્કૂલને નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર