PFI સામે તપાસનો રેલો છેક ગુજરાત પહોંચ્યો, 15 શંકાસ્પદોની ATSએ કરી અટકાયત

મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (15:23 IST)
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી સહિત અન્ય એજન્સીઓએ આજે 9 રાજ્યોમાં PFIના અનેક સ્થળોએ દરોડા પાડી પીએફઆઈના સભ્યોની પણ અટકાયત કરી છે. દિલ્હી, યુપી, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં PFI વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. શાહીન બાગમાં અર્ધલશ્કરી દળો પેટ્રોલિંગ કરી રહ્યાં છે ત્યારે આસામમાંથી 45થી વધુ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ દિલ્હી પોલીસે પણ લગભગ 30 લોકોની ધરપકડ કરી છે. આ સાથે યુપીમાં પણ અનેક લોકોની અટકાયત કરવામાં આવી છે.

હવે PFI પર NIAની કાર્યવાહીનો રેલો છેક ગુજરાત સુધી પહોંચ્યો છે. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, બનાસકાંઠા અને નવસારીમાં ATS દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ગુજરાત ATSએ આ સંદર્ભે 15 લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.PFI જે સંસ્થા છે તે પોતે ટેરર એક્ટિવિટી માટે ફંડ ઉઘરાવતી હતી. જે ઉદ્યોગપતિઓ છે અને વિદેશમાં આતંકી પ્રવૃત્તિઓને લઇને જે ફંડિંગ થતું હોય છે તે ઉઘરાવવાનું કામ પણ આ PFI કરે છે. જેને લઇને IBના ઇનપુટ દ્વારા NIA દ્વારા આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા 2 દિવસમાં 9 રાજ્યોના જુદા-જુદા વિસ્તારમાં રેડ પાડવામાં આવી છે.PFI મામલે ગુજરાત એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતા સુરતમાં એક યુવકની પૂછપરછ હાથ ધરાઇ છે. તો બીજી બાજુ નવસારીના અબ્દુલ કાદિર સૈયદને પણ પૂછપરછ માટે લઇ જવાયો છે. સુરત SOG ઓફિસ ખાતે બંને યુવકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. બંને યુવકોના તાર PFI કેસમાં જોડાયેલા છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.આ મામલે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને PFIનું ગુજરાતમાં કોઇ જ અસ્તિત્વ નથી. પરંતુ એક રાજકીય પાર્ટી કે જે SDPI છે કે જે ગુજરાતની અંદર સક્રિય છે અને એક રાજકીય પાર્ટી દ્વારા જ આ પ્રકારે ટેરર ફંડિંગ ઉઘરાવતા હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. આથી, ગુજરાત ATSએ હાલ જુદા-જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી કુલ 15 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને હાલ તેઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેઓના બેંક એકાઉન્ટ, તેઓના કનેક્શન અને કૉલ ડિટેઇલ્સના આધારે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર