કચ્છના રાપરની શાળામાં ઘૂસી છઠ્ઠા ધોરણની સગીરાનો બળજબરીથી બર્થ ડે મનાવ્યો, આઈ લવ યુ લખેલી ગિફ્ટ આપી

બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (08:42 IST)
રાપરની સલારી નાકા પ્રાથમિક શાળામાં ઘૂસેલા 30 વર્ષ જેટલી ઉમરના વિધર્મી યુવાને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો પરાણે બર્થ ડે મનાવ્યો હતો. આ ‘ધરાર પ્રેમી’એ શિક્ષક અને બાળકોની સામે જ છાત્રાનો હાથ પકડી બળજબરીથી સેલ્ફી લીધી હતી. એકાએક થયેલા બેહૂદા વર્તનથી હતપ્રભ બનેલી વિદ્યાર્થિનીએ માતાને વાત કહેતાં સઘળી હકીકતો બહાર આવી છે.

આ અંગે મળતી વિગતો મુજબ સલારી નાકા પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા અભ્યાસ અર્થે આવી હતી. તેનો જન્મ દિવસ હોવાનું જાણતો અને લાંબા સમયથી સગીરાની પાછળ પડેલો વિધર્મી યુવક શાળામાં ઘૂસી આવ્યો હતો અને બાળજબરી પૂર્વક ‘આઇ લવ યુ’ લખેલી ગિફ્ટ સગીરાના હાથમાં પરાણે પકડાવી હતી. વાત આટલેથી પૂરી થતી ન હોય તેમ બાળકોની વચ્ચે અને હાજર શિક્ષકની સામે જ સગીરાનો હાથ જબરજસ્તી પકડીને સેલ્ફી લીધી હતી તેની સાથે ચોકલેટ ખવરાવી હતી. વિધર્મી યુવકના અણછાજતા વર્તનથી એક્દમ ડરી ગયેલી સગીરા હતપ્રભ બનીને પોતાના ઘરે તેની માતાને સઘળી હકીકત કહેતા માતા-પિતા પણ સ્કૂલે દોડી આવ્યા હતા. તેમની ઉગ્ર રજૂઆતને પગલે થોડીક વાર ભારે હંગામો સર્જાયો હતો. જોકે શિક્ષકોએ પોતાના બચાવ માટે પરિવારને શાંત કર્યો હતો. શાળામાં ઘૂસી આવેલો વિધર્મી યુવાન માથાભારે હોઈ અને શિક્ષણ સંકુલમાં જ આ પ્રકારની હીન ઘટના ઘટતા સમગ્ર બનાવ દબાવી દેવાની પેરવી કરાઈ હતી.સંચાલકો દ્વારા કાયદેસર ફરિયાદ કરવાનું તો દૂર રહ્યું પણ એસએમસીને પણ જાણ કરી ન હતી. આમ સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયાસ થયા હતા. જોકે કેટલાક વાલીઓના જણાવ્યા મુજબ સમગ્ર ઘટના શાળામાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. સગીરાના પિતાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે છોકરો ઘરે આવીને માફી માંગી ગયો હતો એટલે ફરિયાદ નથી કરાઈ. આ બાબતે આચાર્ય ગોવિંદ પરમારને પૂછતાં તેમણે ઘટનાને સમર્થન આપતાં કહ્યું હતું કે, સગીરાના વાલીઓ આવ્યા હતા તો યુવકના વાલીને પણ આ ઘટનાની જાણ કરાઈ હતી પણ તેમણે આવવાની દરકાર લીધી ન હતી. ફરિયાદ માટે તો વાલીઓએ આગળ આવવું જોઈએ તેવો બચાવ તેમણે કર્યો હતો. છોકરો વિધર્મી હતો છતાંય શિક્ષકો કેમ ઓળખી ન શક્યા તે વિશે પૂછતાં આચાર્યએ જણાવ્યું હતું કે શિક્ષકને એવું લાગ્યું કે યુવાન સગીરાનો વાલી હશે. એ વિધર્મી હોવાની વાત સગીરા વાલી આવ્યા બાદ ખબર પડી હતી.જયારે સગીરાના વાલીઓ આવ્યા ત્યારે ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. શહેરના અયોધ્યા પુરી, ગેલીવાડી, વાઘેલા વાસ વિસ્તાર, સમાવાસ , સુખદધાર વિસ્તાર વગેરેમાં આવારા તત્વો ખુલ્લેઆમ રોમિયો ગીરી કરતા હોય છે. તો શહેરની કન્યા છત્રાલાય, બસ સ્ટેન્ડ, નગાસર બગીચા વિસ્તાર, ગુરુકુળ રિંગ રોડ,પ્રાથમિક કુમાર અને કન્યા શાળાઓ વગેરે જગ્યાએ તો જાણે ફાટી ને ફૂલેકે ચડ્યા હોય તે રીતે કેટલાક રોમિયો ખુલ્લેઆમ ચેન ચાળા કરતા નજરે આવે છે જેના કારણે કન્યા, યુવતીઓ અને મહિલાઓમાં ભયનો માહોલ છે. આવા તત્ત્વોને કડક હાથે ડામવા પોલીસ ધાક બેસાડતી કાર્યવાહી કરે તે આવશ્યક છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર