અમદાવાદમાં શ્રાવણમાં મુસ્લિમ રિક્ષાચાલકોએ વૃદ્ધોને ફ્રીમાં લઈ જઈ મુખ્ય મંદિરોનાં દર્શન કરાવ્યાં

શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (09:54 IST)
અમદાવાદ ઓટોરિક્ષા ડ્રાઇવર્સ યુનિયન દ્વારા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને રિક્ષામાં વિવિધ ધાર્મિક સ્થળના નિ:શુલ્ક દર્શન કરાવવાનું આયોજન કરાયું હતું. મુસ્લિમ રિક્ષાચાલકોએ શ્રાવણ માસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને હિંદુ ધાર્મિક સ્થળોના દર્શન કરાવ્યા હતા. આ અંગે વધુ માહિતી આપતા ઓટોરિક્ષા ડ્રાઇવર્સ યુનિયનના પ્રમુખ ઇમ્તિયાઝ લંઘાએ જણાવ્યું હતું કે, જીવન સંધ્યાના 55 વૃદ્ધોને શહેરના વિવિધ હિંદુ ધાર્મિક સ્થળ જેમ કે, ભદ્રકાળી મંદિર, જગન્નાથ મંદિર, વલ્લભ સદન, અંકુર ઓમકારેશ્વર મંદિરે નિ:શુલ્ક દર્શન કરાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમના સંચાલક સાજિદ શેખે જણાવ્યું હતું કે, વૃદ્ધોને વર્ષોથી શહેરના મંદિરમાં દર્શન કરાવીએ છીએ, ત્યારે વૃદ્ધો અમને જોઇને ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે. અમને તેમની સેવા કરવાની તક મળે છે તે જોઇને બીજા લોકો પણ અમને નાસ્તો તેમ જ અન્ય વસ્તુઓની મદદ કરતા હોય છે.છેલ્લાં 15 વર્ષથી આ મુસ્લિમ યુવાનો વૃદ્ધાશ્રમના વૃદ્ધોને રિક્ષામાં મંદિરોના દર્શન કરાવે છે. મારા 68 વર્ષના જીવનમાં એક પણ મુસ્લિમ પરિવારની વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં આવી નથી. તેમ છતાં આ રિક્ષા ચાલક મુસ્લિમ યુવાનો નિ:સ્વાર્થ ભાવે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને શહેરના મંદિરોના દર્શન કરાવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર