વેક્સીનેશન નહી તો દર્શન નહી, BRTS અને કાંકરિયા પર પ્રવેશ નહી

શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (17:53 IST)
કોરોના મહામારીમાં વેક્સિનેશન સૌથી મોટું હથિયાર બની ગયું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાને લઈને મોટા સમાચાર આવ્યા છે. ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લઈને હવે શ્રદ્ધાળુઓ માટે કોરોના રસીકરણ સર્ટિફિકેટ ફરજીયાત કરવાનો નિર્ણય લીધો છે. 
 
આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ  વેક્સીનેશનને લઈને કેટલાક નિર્ણય લીધા. કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે દ્વારા વેકસીનેશન શરૂ કરવામા આવ્યું છે. અમદાવાદ શહેરમાં 35.59 લાખ લોકોને વેકસીનનો પહેલો ડોઝ અને 16.44 લાખ લોકોને બીજો ડોઝ આમ કુલ 53.03 લાખ લોકોએ વેકસીન લઇ લીધી છે. હજી પણ કેટલાક લોકો વેકસીન લઇ રહ્યા નથી જેથી કોર્પોરેશને હવે નવો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડીંગ અને જગ્યામાં પ્રવેશ માટે વેકસીન લીધેલી હોવી ફરજિયાત છે.

AMTS- BRTS, અમદાવાદના કાંકરિયા તળાવ, કાંકરીયા ઝુ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર જવા વેકસીન લીધેલી હોવી ફરજિયાત છે. AMTS BRTS બસ, કાંકરિયા વગેરે જગ્યાએ વેકસીન પહેલો ડોઝ લીધેલો હોવો જરૂરી છે તેમજ બીજો ડોઝ લેવાની પાત્રતા ધરાવતા હોવા છતાં જો તેઓએ બીજો ડોઝ નહિ લીધો હોય તો 20 સપ્ટેમ્બર સોમવારથી બિલ્ડીંગમાં AMC હસ્તક તમામ બિલ્ડીંગોમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. 
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના  જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વીમીંગ પુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેકસીનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર