અમદાવાદમાં પતિએ પત્નીની જાણ બહાર બીજા લગ્ન કરી લીધા, ડિવોર્સ ન મળતા જાનથી મારી નાખવાની ધમકી આપી

શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (17:10 IST)
અમદાવાદમાં પતિ-પત્નીના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિણીતાનો આક્ષેપ છે કે, તેના પતિએ જાણ બહાર જ બીજા લગ્ન કરી લીધા અને ડિવોર્સ માટે દબાણ કરતો હતો. આટલું જ નહીં પીડિતાને સાસરીયા શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા અને છૂટાછેડા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. ઘટનાની વિગતો મુજબ, કોલકાતાની રાની (નામ બદલ્યું છે)ના લગ્ન 2016માં ઈસનપુરમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન રાનીએ 2018માં એક દીકરીને જન્મ આપ્યો હતો. રાનીનો આક્ષેપ છે કે, દીકરી જન્મતા સાસરીયાના આ વાત પસંદ નહોતી, જેથી તેને નાની નાની ઘરકામની વાતોમાં ટોણા મારીને ઝઘડો કરતા હતા. તે આ વિશે પતિને કહે તો તે પણ ધમકી આપતો, 'મારા માતા-પિતા કહે તે પ્રમાણે તારે કરવાનું નહીં તો તને ઘરમાંથી કાઢી મુકીશ.' રાનીને રાખવા ન માગતા તેના પતિએ ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી કરી હતી. જોકે રાની ડિવોર્સ લેવા ન ઈચ્છતી હોવાથી પતિ તેને દબાણ કરતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો. આટલું જ નહીં તેના પતિએ તેની જાણ બહાર જ 2021માં પંજાબની યુવતી સાથે લગ્ન કરી લીધા. આખરે રાનીએ પતિના ત્રાસથી કંટાળી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર