રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં કર્યો 3 ગણો વધારો, હવે માસિક ખાસ ભથ્થું આટલું અપાશે

બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (10:20 IST)
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીબ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.હવે થી તેમને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.૯૦૦/- ના બદલે રૂ.૩૦૦૦નું ખાસ ભથ્થું અપાશે.
 
મંત્રીએ ઉમેર્યું કે, કર્મચારીઓના હિતને વરેલી રાજય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ ૨૦૧૨ પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થયો હોઈ આ મહત્વનો નિર્ણય કરાયો છે.
 
તેમણે ઉમેર્યું કે,ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.૯૦૦/- ના બદલે રૂ.૩૦૦૦ નું ખાસ ભથ્થું અપાશે.આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ. આ નિર્ણયનો અમલ તા.૧૩-૯- ૨૦૨૨ થી કરવામાં આવશે. રાજ્ય સ૨કા૨ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી-કમ-મંત્રીઓને આ નિર્ણય લાગુ પડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર