ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા મહત્વનો નિર્ણય, હવેથી વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાયબર સિક્યોરીટીનું પણ જ્ઞાન અપાશે

ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (08:54 IST)
હવેથી રાજ્યના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સાયબર સિક્યોરીટીનું પણ જ્ઞાન આપવામાં આવશે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન રીતે શિક્ષણ આપવામાં આવતું હતું સાથે જ હાલમાં પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન રીતે શિક્ષણ આપવામા આવી રહ્યું છે તેવામાં વિદ્યાર્થીઓ સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી દર મહિનાના પહેલા બુધવારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને એક કલાક સાયબર સિક્યોરીટી અંગે માર્ગદર્શન આપવામાં આવશે.અત્યારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરે છે અને સાયબર ક્રાઈમના બનાવો પણ વધતા જાય છે, ત્યારે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અંગે ભણાવવા જરૂરી છે જેથી હવે દર બુધવારે સાયબર એક્સપર્ટ દ્વારા સાયબર ક્રાઈમ અંગે અમદાવાદના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. ગૃહ વિભાગે પરિપત્ર જાહેર કર્યો હતો જે બાદ અમદાવાદ DEO દ્વારા તૈયારી કરવામાં આવી છે અને તમામ સ્કૂલો અંગે સાયબર ક્રાઈમને વિગત આપવામાં આવશે જે બાદ સાયબર ક્રાઈમ દ્વારા ભણાવવામાં આવશે.આ અંગે અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમ અંગે ભણાવવા જાણ કરવામાં આવી તે બાદ અમે તૈયારી શરૂ કરી છે અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ અંગે ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓને દર બુધવારે ભણાવવામાં આવશે અને તે અંગે સ્કૂલોને પણ જાણ કરવામાં આવશે.બાળકો પોતાની સાથે પોતાના પરિવારને પણ સાઇબર ક્રાઇમથી બચાવે તે આ કાર્યક્રમનો ઉદ્દેશ છે. કાર્યક્રમ દરમિયાન આર્થિક ફ્રોડ, સોશિયલ મીડિયામાં ડમી એકાઉન્ટ, અજાણ્યા લોકો સાથે ચેટિંગ, ઓનલાઇન ખરીદી માટેની ઓફર વગેરે બાબતો વિશે વિદ્યાર્થીઓ જાગ્રત રહે તેની ટ્રેનિંગ અપાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર