વહેલી સવારથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, સંજેલીમાં કોઝવે તૂટ્યો

સોમવાર, 29 જુલાઈ 2024 (12:03 IST)
rain in ahmedabad
રાજ્યના હવામાન વિભાગ મુજબ આજે વરસાદી સિસ્ટમ સક્રિય થતા મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારે 6 વાગ્યાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સવારે નવ વાગ્યા સુધીમાં અડધો ઇંચ થી પણ ઓછો વરસાદ શહેરમાં નોંધાયો છે.તે ઉપરાંત વડોદરા, ખેડા, મહિસાગર સહિત અનેક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જેથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. નડિયાદમાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યો છે. તો સંજેલીમાં કોઝવે તૂટ્યો હતો. જ્યારે આજે બે કલાકમાં પ્રાંતિજમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે.ભારે વરસાદને પગલે નડિયાદથી ખાત્રજ મહેમદાવાદને જોડતા રોડ પર મહાકાય ભૂવો પડ્યો છે.વિસનગર એપીએમસી પાણીમાં ગરકાવ થયું છે. ગેટથી અંદર સુધી આવવા માટેના રસ્તા પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.વિસનગરમાં વહેલી સવારથી વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. નડિયાદમાં ધોધમાર વરસાદ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સવારે 7 વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા મહેસાણા શહેર સહિત આજુબાજુના પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.બનાસકાંઠાના થરાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. થરાદના વજેગઢ, વડગામડા, અભેપુરા સહીતના અનેક ગામોમાં વરસાદ ખાબક્યો છે. ઘણા સમયના વિરામ બાદ વરસાદની શરૂઆત થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
rain in arvalli
 
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે 45 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં 90 ટકાથી 100 ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 178286 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 53.37 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય 206 જળાશયોમાં 264362 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 47.19 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
ahmedavad rain
રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં 23486 ક્યુસેક, ઉકાઈમાં 36307 ક્યુસેક, દમણગંગામાં 7018 ક્યુસેક, કડાણામાં 6674 ક્યુસેક, પાનમમાં 6648 ક્યુસેક અને હડફમાં 5500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 30 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 28 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 36 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141માં 50.88 ટકા, કચ્છના 20માં 49.92 ટકા, મધ્ય ગુજરાતના 17માં  37.29 ટકા, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર