હરિ લેવા આવશે એવો દાવો કરનાર બાપા હરિધામ જવાને બદલે હોસ્પિટલમાં હેમખેમ પહોંચી ગયાં

બુધવાર, 25 એપ્રિલ 2018 (15:15 IST)
જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા ૭૭ વર્ષના બુર્ઝુગને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે અને મંગળવારે સાંજે ૫ વાગ્યે ઇશ્વર તેઓને પોતાના ધામમાં લઈ જશે તેવી વાત વહેતી થતાં જામવણથંભી ગામમાં કુતુહુલ ફેલાયું હતું. સ્વામિનારાયણ મંદિરમાં સેવા પૂજા કરતા બુર્ઝુગ બપોરથી સ્વામિનારાયણ મંદિરમાં બેસી ગયા હતા અને ગ્રામજનોએ પણ એકત્ર થઈને ધુન બોલાવાતું ચાલું કરી દીધું હતું. પરંતુ હરીબાપાનો હરીધામમાં પહોંચવાનો દાવો પોકળ સાબિત થયો છે અને તેઓને હરીધામને બદલે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જયાં તેઓની તબીયત સ્વસ્થ હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું છે. જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા અને સ્વામિનારાયણ મંદિરમાં ટ્રસ્ટી તરીકે તરીકે સેવા પૂજા કરતા હરીભાઈ વેલજીભાઈ ખોલીયા નામના ૭૭ વર્ષના કડીયા કુંભાર બુર્ઝુર્ગને થોડા સમય પહેલા પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે. તેવું જણાવી તેઓએ ગ્રામજનો સમક્ષ એવી વાત વહેતી કરી હતી કે, ૨૪ એપ્રિલનાં સાંજે ૫ વાગ્યે ઈશ્વર તેને પોતાના ધામમાં લઈ જશે અને તેઓ પોતાનો દેહ છોડી દેશે જે સાંભળીને ગ્રામજનોમાં કુતુહુલ ફેલાયું હતું.

હરીભાઈના બે પુત્રો રાજકોટમાં રહે છે જયારે હરીભાઈ પોતે એકલા સ્વામિનારાયણ મંદિરમાં રહીને સેવા પૂજા કરે છે. આજથી સાડાચાર મહિના પહેલા તેઓને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હતો અને દર્શન થયા હતા તેમ જણાવી સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા અન્ય અનુયાયીઓ તથા ગ્રામજનો પાસે વાતચીત કરી હતી અને ઈશ્વર તેઓને આજે સાંજે ૫ વાગ્યે પોતાના ધામમાં લઈ જશે અને પોતે સ્વયંભુ આ સંસારનો ત્યાગ કરી દેશે. આ સમાચાર જામવણથલી સહિત આસપાસના ગામોમાં વાયુ વેગે પ્રસરી જતાં અનેક લોકો જામવણથલી ગામમાં આવી ગયા હતાં અને હરીભાઈ મંદિરમાં ભગવાનની સમક્ષ એક મોટી ખુરશી પર સમાધી લગાવીને બેસી ગયા હતાં. હરીભાઈના બંને પુત્રો પરિવાર સાથે જામવણથલી આવી પહોંચ્યા હતાં અને સમગ્ર ગામમાં ધાર્મીક વાતાવરણ બન્યું હતું. ગ્રામજનો એકત્ર થઈને ઈશ્વરનું કિર્તન કરી રહ્યાં હતાં. પોલીસને પણ ઘટનાની જાણ થતાં જામવણંથલી ગામમાં ખાનગી વેશમાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. સાંજે ૫ વાગ્યે હરીભાઈ એકાએક બેશુધ્ધ બની ગયા હતાં. જેથી થોડી ક્ષણો માટે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. તેના સ્વાચ્છોશ્વાસ ચાલુ રહ્યા હતાં બે કલાક પછી આખરે એક ખાનગી તબીબને સ્થળ પર બોલાવાયા હતાં ઉપરાંત ૧૦૮ની ટીમ જામવણથલી ગામે પહોંચી ગઈ હતી. ૭.૩૦ વાગ્યે હરીબાપા નાટકીય ઢબે ભાનમાં આવી ગયા હતાં અને તંત્રએ સલામતીના ભાગ રૃપે તેઓને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે ધ્રોલની સરકારી હોસ્પિટલે પહોંચાડી દીધા હતા જયાં ફરજ પરના તબીબે તેઓની તબીયત સ્વસ્થ હોવાનું જણાવાયું હતું આમ હરીભાઈ હરીના ધામમાં જવાને બદલે ૧૦૮ ના બીછાને થઈને ધ્રોલ સરકારી હોસ્પિટલે પહોંચ્યા હતાં અને તેમનો દેહ ત્યાગ કરવાનો દાવો પોકળ સાબિત થયો હતો. ગ્રામજનો પણ ધીમે ધીમે પોતપોતાના ઘેર પરત ચાલ્યા ગયાં હતાં.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર