ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 157 આરોપીઓના કાસ્ટોડિયલ ડેથ થયા, અમદાવાદ અને કચ્છમાં જ 48 ડેથની ઘટનાઓ બની

ગુરુવાર, 18 માર્ચ 2021 (11:35 IST)
20 જેટલા પોલીસ કર્મીઓ સામે અન્ય પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે
 
રાજ્યમાં કાસ્ટોડિયલ ડેથનું પ્રમાણ વધી રહ્યું છે. નેશનલ હ્યુમન રાઈટ કમિશનની અસંખ્ય નોટીસો છતાં સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રમાણમાં ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 157 આરોપીઓના કાસ્ટોડિયલ ડેથ થયાં છે. જેમાં માત્ર અમદાવાદ અને કચ્છમાં જ 48 ઘટનાઓ બની હોવાનું વિધાનસભામાં જાહેર થયું છે. આ પ્રકારની ઘટનાઓમાં એક ઈન્સ્પેક્ટર, 2 સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 7 પોલીસ કર્મચારી, અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે 20 જેટલા પોલીસ કર્મીઓ સામે અન્ય પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે.
કસ્ટોડિયલ ડેથનું પ્રમાણ વધ્યુ
પેટાલાદના કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે પુછેલા સવાલના જવાબમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કાસ્ટોડિયલ ડેથ અંગેની  માહિતી જાહેર કરી હતી. વર્ષ 2020માં તો લોકડાઉન અને કોરોના મહામારીને કારણે ગંભીર પ્રકારના ગુના ઘટયા હતા. છતાંયે કસ્ટોડિયલ ડેથનું પ્રમાણ વધ્યુ છે. લેખિત જવાબમાં કહ્યા મુજબ બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં જવાબદાર 1 ઈન્સ્પેક્ટર સહિત 7ને સસ્પેન્ડ કરવા ઉપરાંત 1 ઈન્સ્પેક્ટર, 1 સબ ઈન્સ્પેક્ટર અને 3 કોન્સ્ટેબલ સામે ખાતાકિય તપાસ ચાલુ છે. 
સફાઈ કર્મીઓના વારસદારોને વળતર મળ્યું નથી
ખાનપૂર ઝોલન ઓબ્ઝર્વેશન હોમના 4 કર્મચારી સહિત પાંચની સામે ગુનો નોંધ્યો છે. મહેસાણામાં ઓબ્ઝર્વેશન હોમમાં 3 કર્મચારી ઉપરાંત 1 ઈન્સ્પેક્ટર, 1 સબ ઈસ્પેક્ટર અને 7 કોન્સ્ટેબલ સામે IPCની કલમ 320 હેઠળ ગુનો દાખલ કરીને ચાર્જશીટ દાખલ કરી છે. આ સિવાય પણ 7 પોલીસ કર્મીઓ સામે રોકડ દંડ, ઈજાફા અટકાવવા જેવા પગલા લેવાયા છે.ગટરમાં મૃત્યુ પામેલા સફાઈ કર્મચારીઓને વળતર મુદ્દે વર્ષ 2003ના સુપ્રિમના ચૂકાદાનો ગુજરાતમાં અમલ થયો નથી.અમદાવાદમાં 23 અને સુરતમાં 11 એમ 34 કર્મીઓના વારસદારોને રૂ.10 લાખનું વળતર મળ્યુ નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર