ગુજરાત G-20ની 15 બેઠકોનું યજમાન બનશે,રાજ્યમાં નાણાંના અભાવે વિકાસ કામ અટકતાં નથી

શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (18:33 IST)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના નગરો-મહાનગરો શહેરી વિકાસ કેવો હોય તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસનો અને નાણાંકીય વ્યવસ્થાપનનો જે મજબૂત પાયો નાંખ્યો છે તેના પરિણામે સ્ટેટ ગર્વનમેન્ટ અને લોકલ સેલ્ફ ગર્વનમેન્ટ તથા વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ એક થઇને કામ કરે છે. એટલું જ નહિ, નગરો-મહાનગરોમાં વિકાસનું કોઇ કામ નાણાંના અભાવે અટકતું પણ નથી. મુખ્યમંત્રીએ રાજ્યની 8 મહાનગરપાલિકાઓ તથા ‘અ’ વર્ગની 22 નગરપાલિકાઓના મેયર, પ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તેમજ કમિશનર, ચીફ ઓફિસર અને રિજીયનલ મ્યુનિસિપલ કમિશનર સાથે ગાંધીનગરમાં ગિફટ સિટીમાં આયોજિત કોન્કલેવ ઓફ સિટી લીડર્સમાં પ્રેરણાદાયી સંબોધન કર્યુ હતું. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓને શહેરી જનસુખાકારી, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, સ્વચ્છ ભારત મિશન, અમૃત 2.0, એફોર્ડેબલ હાઉસીંગ તેમજ નાણાંકીય વ્યવસ્થાપન અંગે રાજ્ય સરકારની અમલી યોજનાઓ, પહેલરૂપ બાબતો તેમજ ભવિષ્યના કાર્ય આયોજનના વિસ્તૃત પ્રેઝન્ટેશન આ કોન્કલેવમાં કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિસંવાદની ચર્ચા-પરામર્શ સત્રમાં સહભાગી થતાં કહ્યું કે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ પોતાની આવકના સ્ત્રોત ઊભા કરવા સાથે લોકોના પૈસાનું પુરેપુરૂં વળતર વિકાસ કામોથી આપે. ગુજરાત સુદ્રઢ નાણાંકીય વ્યવસ્થાપનના પરિણામે નીતિ આયોગના ઇન્ડેક્ષમાં અગ્રેસર છે તેનું ગૌરવ કરતાં ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં આ સ્થિતી ગુજરાતમાં ઊભી થઇ છે. લોકોએ વિકાસના કામો અને નાણાંકીય વ્યવસ્થાપનની સંગીન સ્થિતીને કારણે જ આટલો અપાર વિશ્વાસ પ્રચંડ જનસમર્થનથી આપણામાં મુકયો છે ત્યારે હવે આપણે બેવડી જવાબદારીથી કામ કરવાનું છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.  G-20 ની 15 બેઠકોનું યજમાન ગુજરાત બનવાનું છે તેમાં અર્બન-20 ની બેઠકો દ્વારા આપણે ગુજરાતનો શહેરી વિકાસ, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ, વિશ્વના દેશો સમક્ષ ઊજાગર કરી શકીશું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર