સુરતમાં સોસાયટીઓમાં ઉપવાસ આંદોલન, કોંગ્રેસ અને આપના કાર્યકરો પણ જોડાયાં

ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (12:00 IST)
ત્રણ વર્ષ અગાઉ 25 ઓગસ્ટ 2015માં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારોના આંદોલનનો મહાજુવાળ જોવા મળ્યો હતો. જે તબક્કાવાર ઓસરી ગયો છે. ત્યારે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેઠેલા હાર્દિકના સમર્થનમાં પ્રતિક ઉપવાસ દ્વારા ફરી આંદોલનને વેગવંતુ બનાવવા માટે સુરતમાં રોજે રોજ અલગ અલગ સોસાયટીઓમાં પ્રતિક ઉપવાસ આંદોલનના કાર્યક્રમો આપવામાં આવ્યાં છે.જેમાં આજે પાંચેક સોસાયટીઓ જોડાઈ છે. સુરતના પાટીદાર બહુલ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યાં છે. ત્યારે આજે એકી સાથે પાંચેક સોસાયટીમાં પ્રતિક ઉપવાસના કાર્યક્રમ આપવામાં આવ્યાં છે. પાટીદારોની મુખ્ય માંગ છે કે, પાટીદાર સમાજ ને અનામત, ખેડુતોના દેવા માફી અને અલ્પેશ કથીરિયા ને જેલ મુક્ત કરવામાં આવે. હાર્દિક પટેલની આ મુખ્ય માંગો સાથે તેમના સમર્થનમાં પાટીદારો ઉપવાસ પર જોડાયા છે. સુરતના પાટીદારો દ્વારા પાસ સમિતિના નેજા હેઠળ આમરણાંત ઉપવાસ આંદોલનના સમર્થનમાં સોસાયટી-સોસાયટીએ પ્રતિક ઉપવાસના કાર્યક્રમો યોજાશે. અને હાર્દિક પટેલને સમર્થન આપી આંદોલનને ફરી વેગવંતુ બનાવવામાં આવશે તેમ સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું. વરાછા વિસ્તારની સોસાયટીમાં છેલ્લા બે ત્રણ દિવસથી ચાલી રહેલા પ્રતિક ઉપવાસમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિતના કાર્યકરો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જોવા મળી રહ્યાં છે. ત્યારે સામાન્ય પાટીદારો બહુ ઓછી સંખ્યામાં જોવા મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર