ગુજરાતનું સૌથી મોટું જંગલ સફારી અમદાવાદના ગ્યાસપુરમાં બનશે

શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (12:36 IST)
Ahmedabad Safari park- અમદાવાદ મનપાએ ગ્યાસપુર ગામ પાસે ગુજરાતનું સૌથી મોટું જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાનો નિર્ણય લીધો છે.જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક માટે અમદાવાદના ગ્યાસપુર ગામ નજીક 500 એકરની જગ્યા સૂચિત કરવામાં આવી છે. અહીં ગાઢ જંગલમાં મોટું વન ઊભું કરી ત્યાં સિંહ, વાઘ, દીપડા, જીરાફ સહિતના વિવિધ પ્રાણીઓને લાવવામાં આવશે. અમદાવાદ મનપાએ જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે RFD બહાર પાડ્યા છે. રૂપિયા 250 કરોડના ખર્ચે પાર્ક બનાવવા માટે ડિઝાઇન અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટની નિમણૂક માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે પ્રક્રિયા કરવામાં આવશે.આ નિર્ણય અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે અમદાવાદના ગ્યાસપુર ગામ પાસે સાબરમતી રિવરફ્રન્ટના સામેના છેડા પર મનપાની 500 એકર જગ્યામાં જંગલ સફારી પાર્ક અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં જંગલ સફારી બને તેવો પ્રયાસ અમદાવાદ મનપા દ્વારા કરવામાં આવી રહ્યો છે. આગામી ત્રણ દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી કમિશનરને સૂચના આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગાંધીનગરના સાંસદ અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી તરફથી આ પ્રક્રિયા માટેની પરવાનગી મળતાની સાથે જ ડિઝાઈન આવ્યા બાદ ભૂમિપૂજનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.જંગલ સફારી અને બાયોડાયવર્સિટી પાર્ક બનાવવા માટે ત્રણ તબક્કામાં વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવશે. ઇન્સ્પેક્શન રિપોર્ટ, ડ્રાફ્ટ રિપોર્ટ અન ત્યારબાદ ફાઈનલ DPR તૈયાર કરવામાં આવશે.

આવા પ્રકારના ડેવલપમેન્ટ માટેના એક આંતરરાષ્ટ્રીય અને બે રાષ્ટ્રીય લેવલના કેસ સ્ટડી પણ જોવાના રહેશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયા બાદ જ ફાઈનલ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટમાં નાનામાં નાની બાબતને ધ્યાનમાં રાખી અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયા બાદ જ તેને મંજૂરી આપવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર