કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું, હાઈકમાન્ડે સ્વીકારી લીધુ

મંગળવાર, 2 માર્ચ 2021 (18:22 IST)
ગુજરાતની મહાનગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થતાં કોંગ્રેસના પાંચ શહેરોના પ્રમુખોએ રાજીનામાં આપી દીધાં હતાં. ત્યારે હવે જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકામાં કોંગ્રેસનો રકાસ થતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. આ બંને નેતાઓએ પરાજયની જવાબદારી સ્વીકારી લીધી છે. કોંગ્રેસ હાઈકમાન્ડને તેમણે મોકલેલા રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યાં છે. 
 
મહાપાલિકાના પરિણામ બાદ પાંચ શહેરના નેતાઓએ રાજીનામાં આપ્યા હતાં
 
છ મહાનગરપાલિકાનાં પરિણામોમાં કોંગ્રેસનો સફાયો થતાં પાંચ શહેરના નેતાઓએ રાજીનામાં આપી દીધા હતા. અમદાવાદમાં શહેર કોંગ્રેસ-પ્રમુખ શશિકાંત પટેલે પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને સસ્પેન્ડ કર્યા બાદ પોતે પણ રાજીનામું ધરી દીધું હતું, જ્યારે રાજકોટમાં કોંગ્રેસ-પ્રમુખ અશોક ડાંગરે પણ પરાજયનો સ્વીકાર કરીને રાજીનામું આપ્યું હતું. સુરતમાં બાબુભાઈ રાયકા તથા ભાવનગરમાં પ્રકાશ વાઘાણી અને વડોદરામાં પ્રશાંત પટેલે પણ રાજીનામાં આપ્યા હતા; માત્ર જામનગર એક એવું શહેર છે કે જ્યાં કોંગ્રેસ-પ્રમુખે રાજીનામું આપ્યું નથી.
2020માં પણ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપ્યું હતું રાજીનામું
ગુજરાત કાંગ્રેસના 32મા પ્રમુખ તરીકે હાલ ઇશ્વરસિંહ ચાવડાના પૌત્ર અને ભરતસિંહ સોલંકીના પિતરાઇ ભાઇ અમિત ચાવડા સુકાન સંભાળી રહ્યા છે. જોકે તેમના નેતૃત્વમાં ઘણા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપાનો ખેસ ઘારણ કર્યો છે. વર્ષ 2019ની લોકસભાની ચુટણીમાં કારમો પરાજય થયો અને ત્રણ પેટાચૂંટણીમાં પણ રકાસ જોવા મળ્યો. છેલ્લે યોજાયેલી આઠ વિધાનસભાની પેટાચૂટંણીમાં કોંગ્રેસને સમ ખાવા એકેય બેઠક ન મળી. ત્યારે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ હાઇકમાન્ડ સમક્ષ રાજીનામુ ધર્યુ હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર