આજે નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનુ ઈ-લોકાર્પણ, જાણો કેટલુ હશે ભાડુ અને કેટલો લાગશે સમય

શનિવાર, 24 ઑક્ટોબર 2020 (09:27 IST)
આજે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ થશે, સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે આવતા મહિનેથી કાર્યરત થનારા ગિરનાર રોપવેના કારણે યાત્રાળુઓ માટે પર્વત પરનાં મંદિરોની મુલાકાત લેવાનુ તો સરળ બનશે જ પણ સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ પર્યટનની પ્રવૃત્તિને વેગ મળશે.  આ કાર્યક્રમને લઇ તમામ તૈયારીઓ તથા સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે.
 
2.3 કિ.મી. લંબાઈ ધરાવતો આ રોપવે, દેશમાં પેસેન્જર રોપવે ક્ષેત્રે પાયોનિયર ગણાતી કંપની ઉષા બ્રેકો કંપનીએ વિકસાવ્યો છે. આ કંપની ગુજરાતમાં પાવાગઢ, અને અંબાજી ઉપરાંત હરિદ્વાર, કેરળ અને ઓડીશામાં પણ સમાન પ્રકારના રોપવેનું સંચાલન કરે છે. ગિરનાર રોપવે  એક કલાકમાં 800 અથવા તો દિવસમાં 8,000 લોકોની હેરફેર કરી શકે છે. હાલમાં યાત્રાળુઓને ગિરનાર પર્વત ચઢવામાં અને તેની ઉપર આવેલાં મંદિરોની મુલાકાતમાં કલાકોનો સમય વિતી જાય છે. આમ છતાં જ્યારે રોપવે ચાલુ થશે ત્યારે પર્વતના શિખરે પહોંચવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.
 
ઉષા બ્રેકોના પશ્ચિમ ક્ષેત્રના પ્રાદેશિક હેડ, દીપક કપલીશ જણાવે છે કે “ગુજરાતનાં અતિ પવિત્ર ગણાતાં યાત્રા ધામ ગિરનાર, સોમનાથ અને દ્વારકા દર વર્ષે લાખો યાત્રાળુને આકર્ષે છે. આમ છતાં હાલમાં ગિરનારમાં આકરા ચઢાણને કારણે પ્રવાસીઓને 5 થી 6 કલાક લાગે છે. આ કારણે મોટા ભાગનો લોકો થાકી જાય છે અને પોતાનો પ્રવાસ મર્યાદિત કરી દે છે. આ રોપવેને કારણે ગિરનારની ટોચે પહેંચવામાં દસ મિનીટ કરતાં પણ ઓછો સમય લાગશે. આથી મુલાકાત થોડા કલાકોમાં જ પુરી કરી શકાશે. શારિરિક થાય લાગશે નહી અને સમયની બચત થવાથી પ્રવાસીઓ અન્ય સ્થળોની પણ મુલાકાત લઈ શકશે. આ રોપવે બનાવવા પાછળ અંદાજીત 130 કરોડનો ખર્ચ થયો છે. 
 
આ રોપવેને કારણે સાસણ ગિરનાર, દ્વારકા અને સોમનાથ જેવાં સ્થળોના પવિત્ર ત્રિકોણમાં પ્રવાસીઓના પ્રવાહને વેગ મળશે. રોપવેના કારણે સાસણ ગીર, જૂનાગઢ, વીરપુર, માધવપુર બીચ, પોરબંદર, જામાનગર અને આ વિસ્તારનાં અન્ય સ્થળોએ પણ પ્રવાસીઓના પ્રવાહમાં વધારો થશે. હાલમાં સૌરાષ્ટ્ર મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે પણ  આ પ્રવાસીઓ છૂટાછવાયા આવતા હોય છે. આ એક રોપવે પ્રોજેકટ ગુજરાતમાં ટુરિઝમનો ચહેરો બદલી નાખશે કારણ કે હવે ટ્રાવેલ કંપનીઓ સમગ્ર વિસ્તારનુ સીંગલ ટુરિઝમ પેકેજ ઓફર કરશે.
 
ગિરનાર રોપવેમાં નવ ટાવર્સ અને  8 પેસેન્જરને સમાવી શકે તેવી 25 કેબિનનો સમાવેશ કરાયો છે કે જે આ રોપવેનો હિસ્સો બની રહેશે. કેટલીક કેબિનમાં ગ્લાસ ફ્લોરની સગવડ કરાઈ છે. આ દરેક કેબીન દર સેકંડમાં મહત્તમ 6 મીટરનું અંતર કાપશે
 
શુ રહેશે ભાડુ 
 
રોપવે માટે ટિકિટના દર નક્કી થઇ ગયા છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટૂ-વે ટિકિટનો દર રૂ. 700, જ્યારે વન-વે ટિકિટના રૂ. 400 રહેશે. બાળકો માટે ટિકિટનો દર રૂ. 350 રખાયો છે. રોપવે લાગી જવાથી એના દ્વારા વાર્ષિક રૂ.400 કરોડની આવકનું લક્ષ્ય રખાયું છે.
 
2.3 કિ.મી.નો રસ્તો 7 મિનિટમાં કપાશે
ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવે દ્વારા આશરે 7 મિનિટમાં કાપી શકાશે. હાલ તળેટીથી દત્ત મંદિર સુધીના 9,999 પગથિયાં ચઢતાં 5-6 કલાક લાગે છે.
 
ગિરનાર રોપવેના રૂટમાં 9 ટાવર ઊભા કરવામાં આવ્યા
2.3 કિ.મી. લંબાઇ ધરાવતા ગિરનાર રોપવેના રૂટ પર 9 ટાવર ઊભા કરવામાં આવ્યા છે. એક ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકશે. 8 મિનિટ ઉપર પહોંચતાં થશે. 800 મીટરની ઊંચાઇ સુધી લોકો જઈ શકશે. 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે. હાલ અંબાજીએ પગપાળા પહોંચતાં સરેરાશ ચાર કલાકનો સમય લાગી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર