Dahod News - ઝાલોદમાં સાસરિયાંના ત્રાસથી કંટાળી બે બાળકને પતાવી દીધાં, પોતે આત્મહત્યા કરવા ગયો ને ભાભીએ બચાવ્યો

શુક્રવાર, 2 જૂન 2023 (14:22 IST)
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામમા ઘર કંકાસ અને સાસરિયાઓના ત્રાસ થઈ ત્રસ્ત પિતાએ તેના બે વહાલસોયા બાળકોને ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દીધા છે અને પોતે પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ભાભીએ બુમાબુમ કરતાં જીવ બચી ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી બાળકોના મૃતદેહ પીએમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝાલોદ તાલુકાનાં ડુંગરી ગામના ભુરીયા ફળિયામાં રહેતા ભુરસીંગભાઈ ડાંગી તેમના પરિવાર સાથે રહે છે અને તેઓ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ભુરસીંગભાઈ અને તેમના પત્ની અલ્પાબેન વચ્ચે અવારનવાર ઝગડા થતા રહેતા હતા. ઘણી વાર તેમની સાથે ઝગડો કરીને પોતાના પિયર ગુલતોરા ગામે જતા રહેતા હતા. ત્યારે ભુરસીંગભાઈ તેમની સાસરીમાં તેમને લેવા માટે જતાં તો ત્યાં તેમના સાળા અને સાસુ વચ્ચે બોલાચાલી પણ થતી હતી. જેમાં ભુરસીંગભાઈ ને અવારનવાર તેમની સાસરી વાળા ત્રાસ આપતા હતા.ઘર કંકાસ અને સાસરીનાં ત્રાસથી કંટાળેલા ભુરસીંગે ગઈ ગત રાત્રીનાં પોતે સુસાઈડ નોટ લખી અને ત્યારબાદ પોતાના હાથે જ પોતાના વહાલસોયા બાળકો જેમાં મોટી દીકરી પ્રતીક્ષા (ઉ.વ.12) અને તેનાથી નાનો જયરાજ જેની (ઉ.વ 7) બંને રાત્રીનાં સુતા હતા તે દરમિયાન બંનેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ ભુરસીંગે જાતે પણ કંટાળીને ઘર નજીક આવેલા વૃક્ષ ઉપર દોરડા વડે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભુરસીંગનાં ભાભી કુદરતી હાજતે જતા તેને જોઈ જતા તેને પકડી લીધો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ આવી જતા પોલીસે હત્યારા પિતા ભુરસીંગને ઝડપી પાડ્યો હતો અને બંને બાળકોનાં મૃતદેહને ફોરેન્શિક અધિકારી અને પેનલ ડોકટર દ્વારા પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી.ભુરસિંગ અને અલ્પાને ત્રીજો પુત્ર પણ છે, પરંતુ તે તેના ભાઈને દત્તક આપેલો હોવાનુ જાણવા મળ્યુ છે. દત્તક આપેલો હોવાથી તેના ભાઇના ઘરે હતો જેથી તેનો જીવ બચી ગયો. આ અંગે ઝાલોદના DySP ડી.આર. પેટેલે જણાવ્યું હતું કે, ડુંગરી ગામમાં હત્યાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આરોપીને ઝડપી લીધો છે અને બાળકોના પી.એમની કાર્યવાહી ચાલુ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર