શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપો, રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘનો ચૂંટણી પંચને પત્ર

બુધવાર, 25 જાન્યુઆરી 2023 (13:39 IST)
ગુજરાતમાં આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે. ત્યારે સ્કૂલમાં ભણાવતા શિક્ષકોને ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી સોંપવામાં આવી છે.ચાલુ સ્કૂલે શિક્ષણ કાર્ય છોડીને અન્ય કામ સોંપાતા શિક્ષકોમાં રોષ જોવા મળ્યો છે. આ બાબતે હવે રાજ્યના શિક્ષક સંઘે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. આ પત્રમાં શિક્ષકોને બુથ લેવલ ઓફિસરની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ કરવામાં આવી છે. શિક્ષકો હાલમાં ડોર ટુ ડોર ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી કરી રહ્યાં છે. 31 માર્ચ સુધી તમામ મતદારોનો સંપર્ક કરીને કામગીરી પુરી કરવાનો આદેશ કરાયો છે. નિશ્ચિત સમય મર્યાદામાં મહત્તમ અધારકાર્ડ લિંક કરવાના આદેશથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી છે. તમામ સ્કૂલોના બી.એલ.ઓની કામગીરી કરતા શિક્ષકોની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી બી.એલ.ઓ.ને ચાલુ સ્કૂલ દરમિયાન રાઉન્ડ ધ કલોલ મુક્તિ આપવા દરેક સ્કૂલના આચાર્યને જાણ કરાઈ છે.

અગાઉ શિક્ષણની કામગીરી રોકીને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી હતી. હવે તે પૂરી થઈ તો ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી આપવામાં આવી છે. અત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક છે અને અભ્યાસક્રમ પૂરો કરવાનો છે તો અન્ય કામગીરી શિક્ષકો કઈ રીતે કરી શકે. ડોર ટુ ડોર જઈને કામગીરી કરવાની હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થઈ રહી છે. બીજી બાજુ આગામી સમયમાં પરીક્ષાઓ યોજાશે તેના પર પણ અસર થશે. જેથી હવે રાજ્યના શિક્ષક સંઘે ચૂંટણી પંચને પત્ર લખીને આ કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર