જામનગર તા ૧૬, હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી છે, અને ખાસ કરીને વિજ તંત્ર ને ભારે નુકસાન થયું છે. બંને જિલ્લામાં વીજ તંત્રને ૮ કરોડ ૨૪ લાખની નુકસાની થઈ છે. ૧૨૮૯ ગામો પ્રભાવિત થયા હતા, જેમાં ૬૫૪ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બન્યો છે, પરંતુ હજી ૬૩૫ ગામોમાં અંધારપટ છવાયેલો છે. વાવાઝોડાના કારણે કુલ ૧૩૩૭ ફીડરો બંધ થયા હતા જ્યારે ૪૦૨૮ વિજ પોલ જમીન દોસ્ત થયા હતા, ઉપરાંત ૧૮૨ ટ્રાન્સફોર્મર પણ ડેમેજ થયા છે. જેથી પાંચ દિવસ દરમિયાન વાવાઝોડાની પરિસ્થિતિને લઈને ૮ કરોડ ૨૪ લાખનું નુકસાન થયું છે.
જામનગર શહેરને અને જિલ્લામાં વાવાઝોડા ની અસર છેલ્લા પાંચ દિવસથી જોવા મળી રહી હતી, અને વંટોળીયા પવન ના કારણે અનેક ગામોમાં વિજ વિક્ષેપ થયો હતો. બંને જિલ્લાઓ માટે ૧૫૪ જેટલી વિજ ટુકડી ને તૈયાર રાખવામાં આવી છે, અને ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક તમામ ટિમો સાબદી બનેલી છે.
બંને જિલ્લામાં કુલ ૧૩૩૭ ફીડરોને નુકસાન થયું હતું, જે પૈકી ૫૧૬ ફીડર ચાલુ થઈ ગયા છે, અને ૮૨૧ ફીડરમાં હજુ કામ ચાલી રહ્યું છે. વીજપોલની વાત કરવામાં આવે તો બંને જિલ્લામાં પાંચ દિવસ દરમિયાન ૪,૦૨૮ વીજ પોલ ભાંગી ગયા છે. એ પૈકી ૫૧૬ ઉભા કરી લેવામાં આવ્યા છે જ્યારે ૩,૭૫૦ વિજ પોલ હજુ ઊભા કરવાના બાકી છે, જેમાં મોટાભાગે ખેતી વિષય પર કામ કરવાનું બાકી રહ્યું છે.
ટ્રાન્સફોર્મર ની વાત કરવામાં આવે તો બંને જિલ્લામાં કુલ ૧૮૨ ટ્રાન્સફોર્મર ક્ષતિ ગ્રસ્તથઈ ગયા હતા, જે પૈકી એક ટ્રાન્સફોર્મર ચાલુ થયું છે, અને બાકીના ટ્રાન્સફોર્મરમાં કામ ચાલી રહ્યું છે.
છેલ્લા પાંચ દિવસ દરમિયાન હાલારના બંને જિલ્લામાં વીજ તંત્રને ૮,૨૪,૧૩,૦૦૦ રૂપિયાની નુકસાની થઈ છે.