અમદાવાદની ઉદગમ સ્કૂલના ધોરણ 3 અને 8ના 2, ઝેબરના એક વિદ્યાર્થીને કોરોનાનું સંક્રમણ, વાલીઓએ ઓફલાઈન શિક્ષણ બંધ કરવા માંગ કરી

ગુરુવાર, 30 ડિસેમ્બર 2021 (09:53 IST)
બુધવારે થલતેજ ખાતે આવેલી ઉદગમ સ્કૂલના ધો. 3 અને 8ના બે વિદ્યાર્થીઓ અને ઝેબર સ્કૂલના ધો.10માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

શાળા સંચાલકોએ ડીઇઓ કચેરીને જાણ કરી હતી. આમ બે સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળતા સ્કૂલને 10 દિવસ માટે બંધ રાખવાની સૂચના અપાઈ છે. વાલીઓએ માગ કરી છે કે, સરકારે ઓફલાઈન સ્કૂલો બંધ કરી ઓનલાઈન ક્લાસ શરૂ કરવા જોઈએ. શાળા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને ઈ-મેઈલ કરીને જાણકારી આવી હતી. સ્કૂલમાં વિદ્યાર્થીઓ એક બાદ એક સંક્રમિત આવી રહ્યા છે, છતાં પણ સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ નથી કરી રહ્યાં. જેના કારણે વાલીઓમાં એક સૂર ઉઠ્યો છે કે, બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવામાં આવે. ઓફલાઇન શિક્ષણને તાત્કાલિક રાજ્ય સરકાર બંધ કરવાના આદેશ આપે. થોડા દિવસમાં ઉદગમ અને નિરમા વિદ્યા વિહારના વિદ્યાર્થીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. ઈસનપુરના જયંત પાર્ક વિસ્તારમાં આવેલા સદભાવ ફ્લેટના ઘર નંબર 1થી 9 અને આંબલી રાજપથ રંગોલી રોડ વિસ્તારમાં આવેલા અભિશ્રી બંગલોઝના પાર્ટ-2ના બંગલો નંબર 9થી 11 અને 20થી 22ને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરાયા છે. કુલ 15 મકાનના 75 લોકોને ઘરમાંથી બહાર નીકળવા પર પાબંદી મૂકવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર