બટાટામાંથી બનશે બાયોપ્લાસ્ટિક:પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગ દ્વારા રિસર્ચ હાથ ધરાયું, અહીં તૈયાર થનારું પ્લાસ્ટિક આઠ જ દિવસમાં નાશ પામશે

મંગળવાર, 3 મે 2022 (11:50 IST)
21મી સદીમાં માનવજીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. તો બીજી તરફ પ્લાસ્ટિકના કારણે પર્યાવરણ સામે અનેક પડકારો પણ ઊભા થયા છે. ત્યારે પ્લાસ્ટિકનો વિકલ્પ શોધવા માટેના પ્રયાસો તેજ કરાયા છે. આવો જ એક પ્રયાસ પાટણની હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગ દ્વારા હાથ ધરાયો છે. વિભાગ દ્વારા બટાટાના સ્ટાર્ચમાંથી પ્લાસ્ટિક બનાવવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો પર્યાવરણની સાથે સાથે બટાટા પકવતા ખેડૂતોની જિંદગીમાં પણ મોટો બદલાવ આવશે. આ પ્રોજેકટનું સંશોધન અંદાજે 3 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. 
 
વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની સમસ્યાથી દેશ અને દુનિયા ચિંતિત છે. અત્યારે વરસેદહાડે 1 લાખ 50 હજાર કિલોગ્રામ પ્લાસ્ટિક નીકળે છે. વર્ષ 2050 સુધીમાં જે વધીને 761 મેટ્રિક ટન થવાનો અંદાજ છે. ત્યારે પર્યાવરણને નુકસાન ન થાય એ માટે ઓછા ગ્રેડવાળા બાયોપ્લાસ્ટિક બનાવવા માટે ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મીશન દ્વારા પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સ વિભાગના ડો.આશિષ પટેલને રૂા.47 લાખનો રિસર્ચ પ્રોજેકટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેકટથી પર્યાવરણનું જતન અને એની જાળવણી થશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર