100 વર્ષનો સૌથી મોટો નિર્ણયઃ અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરે કોઈપણ વ્યક્તિ ધજા ચઢાવી શકશે

બુધવાર, 2 ઑગસ્ટ 2023 (13:13 IST)
Bhadrakali Mataji temple in Ahmedabad
ધજા ચઢાવવા માટે રજિસ્ટ્રેશન કરાવીને 1100 રૂપિયા ભરવાના રહેશે ત્યાર બાદ ધજા ચઢાવાશે
 
Ahmedabad News -  શહેરમાં નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે ધજા ચઢાવવાને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ભક્તો માતાજીના મંદિરે ધજા ચઢાવી શકશે. 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશનના સહયોગથી ભદ્રકાળી મંદિરમાં ધજા ચઢાવવા માટે પોલ તૈયાર કરવામાં આવ્યો છે. ગઇકાલે મંગળવારે પૂનમના દિવસે AMC તરફથી પહેલી ધજા ચઢાવવામાં આવી હતી. 
 
કોઈ પણ દિવસે માતાજીની ધજા ચઢાવી શકાશે
સમગ્ર મામલે અમદાવાદના ભદ્રકાળી માતા મંદિર ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી શશીકાંત તિવારીએ મીડિયાને જણાવ્યું કે, માતાજીના તમામ મંદિરોમાં ભક્તો તેમની માનતાપૂરી કરવા માટે ધજા ચઢાવતા હોય છે. ભદ્રકાળી મંદિરમાં દર વર્ષે નવરાત્રિ અને દર મહિને પૂનમના દિવસે પણ ભક્તો ધજા ચઢાવવા આવતા હતા. જોકે લોકો માટે મંદિરમાં ધજા ચઢાવવાની વ્યવસ્થા ન હોવાથી તેઓ ધજાની પૂજા કર્યા બાદ મંદિરમાં માતાજી સમક્ષ મુકીને જતા રહેતા હતા. હવે AMC દ્વારા મંદિર પ્રાંગણમાં ધજા ચઢાવવા માટે પોલ તૈયાર કરી આપવામાં આવ્યો છે. જેને લઈ હવેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દિવસે માતાજીની ધજા ચઢાવી શકશે.
 
પૂજારી પૂજા કરી ભક્તને ધજા ચઢાવવા માટે આપશે
મંદિરમાં ધજા ચઢાવવા માટે લોકોએ પુજારી પાસે રજિસ્ટ્રેશન કરાવી 1100 રૂપિયા આપવાના રહેશે. જેની જે તે વ્યક્તિને પહોંચ પણ આપવામાં આવશે. ત્યાર બાદ પૂજારી ધજાને માતાજી સમક્ષ મુકી પૂજા કરી ભક્તને ધજા ચઢાવવા માટે આપશે. આ ધજા ભક્તો પુજારીની મદદથી મંદિર પર ચઢાવી શકશે.ભદ્રકાળી માતાજીના મંદિરે જો કોઈ ભક્ત બહારથી ધ્વજા લઈને આવશે તો પણ તેમને 1100 તો આપવાના રહેશે. કોઈ વ્યક્તિ ધજા લઈને નહીં આવે તો તેમને મંદિર તરફથી પૂજા વિધિ કર્યા બાદ ધજા અપાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર