ભાવનગર રાજકોટ રોડ ઉપર આમલા પાસે બજુડ પાટીયાથી પસાર થતી જાનની બસમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જાનૈયાઓ પોતાનો જીવ બચાવવા સરસામાન અને ચપ્પલ મૂકીને બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બજુડ ગામમાં આજે સવારે પટેલ પરિવારના લગ્નપ્રસંગે ગારિયાધાર જવા માટે આવેલી ભૂમિ ટ્રાવેલ્સની લક્ઝરી બસ ગામના પાદરમાં ઉભી હતી અને જાનૈયાઓ બસમાં બેસવાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન બસના એન્જિનમાં સ્પાર્ક થતાં આગ ભભૂકી ઊઠી હતી.
સોનગઢ પોલીસ અને સિહોર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગમાં બસ સંપૂર્ણપણે સળગી ગઈ હતી. સોનગઢ પોલીસ સ્ટેશનના PSI સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી. ભૂમિ ટ્રાવેલ્સના સંચાલકોએ તાત્કાલિક જાનૈયાઓ માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી આપી હતી, જેથી લગ્નપ્રસંગમાં કોઈ વિક્ષેપ ન પડે.