વરસાદની આફત વચ્ચે દક્ષિણ ગુજરાતમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપના આંચકો અનુભવાયો

મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (13:15 IST)
ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘસવારી જામી છે. ત્યારે વરસાદને કારણે ભરૂચ અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી બાજુ વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયાં છે અને ટ્રેન વ્યવહાર સહિતનો વાહન વ્યવહાર ખોરવાયો છે.

ત્યારે દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રે 2.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉકાઈથી 51 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યમાં કચ્છમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. ત્યારે વરસાદની આફતમાં ભૂકંપ આવતાં લોકોમાં ભય ફેલાયો છે. ગુજરાતમાં ભારે વરસાદના કારણે નર્મદા સહિત અન્ય નદીઓ હાલ ગાંડીતુર બની છે. તેના કારણે અનેક વિસ્તારમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ જિલ્લામાં ભારે વરસાદથી પ્રભાવિત નિચાણવાળા વિસ્તારમાંથી કુલ 12,444 લોકોને કાઢવામાં આવ્યા છે. આ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 617 લોકો બચાવવામાં આવ્યા છે. ગત્ત ત્રણ દિવસમાં રાજ્યના 126 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ થયો છે. રસ્તાઓ પર પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જાઇ છે. પરિણામે પ્રભાવિત જિલ્લામાં શાળા અને કોલેજ બંધ કરી દેવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર