બોર્ડની પરીક્ષા આપવા ગયેલો અમન જીવનની પરીક્ષા હારી ગયો, અંતિમ ક્ષણોના સીસીટીવી સામે આવ્યા

મંગળવાર, 29 માર્ચ 2022 (11:22 IST)
સોમવારથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ ગઇ છે. સોમવારે પરીક્ષા દરમિયાન રખિયાલમાં આવેલી સી.એલ સ્કુલમાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો. જેના પગલે સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખાતે તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
 
વિદ્યાર્થી એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યાં તેને વેન્ટીલેટર પર રખાયો હતો. જો કે તેને બચાવવામાં સફળતા મળી નહોતી. એટેકનાં કારણે તેનું મોત નિપજ્યું હતું.  
 
ત્યારે એક્ઝામ દરમિયાન ક્લાસરૂમમાં ગેરરિતી અટકાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. ત્યારે તેના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. વિદ્યાર્થીની ક્લાસમાં કેવી હાલત હતી અને તે કેવી રીતે મોતને ભેટ્યો તે સમગ્ર ઘટનાક્રમ કેદ થયો હતો. વિદ્યાર્થી બપોરે ત્રણ વાગ્યે પેપર હોવાથી સમયસર તે વર્ગખંડમા પહોંચી ગયો હતો. 3.34 મિનિટે તેને વોમિટ જેવુ લાગતાં તે ક્લાસટીચરની પરમિશન લઈને બહાર જાય છે. ત્યારબાદ તે અડધા કલાક પછી પાછો આવે છે. 
 
15.56 મિનિટે તે વર્ગખંડમાં પોતાની બેન્ચ પર આવીને બેસે છે. તેના બાદ પણ તેને અકળામણ થયા કરે છે, જેથી તે બેન્ચ પર માથુ નાંખીને સૂઈ જાય છે. લગભગ અડધો કલાક સૂઈ ગયા બાદ મહિલા સુપરવાઈઝર તેને ઉઠાડે છે. અમન ઉભો થઈને પ્રિન્સીપાલની ઓફિસમાં જાય છે. આચાર્યએ વિદ્યાર્થીની સ્થિતિ જોઈએ 4.38 કલાકે 108ને ફોન કર્યો અને 4.45એ 108 એમ્બ્યુલન્સ પરીક્ષા કેન્દ્ર પર આવી જાય છે. 4.45 મિનિટે તે જાતે ચાલીને એમ્બ્યુલન્સમાં જાય છે, ત્યાં તેની તપાસ કરવામા આવે છે. અહીંથી તેને સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં લઈ જવાય છે. જ્યાં સારવાર દરમિયાન જ તે દમ તોડી છે. 
 
આ દર્દનાક અંતિમ દ્વશ્યો હચમચાવી દેનાર છે. અમને સપનેય વિચાર્યું નહી હોય છે આ તેના જીવનની અંતિમ પરીક્ષા હશે. હોસ્પિટલમાં ગયા બાદ અમનની હાલત એટલી બગડી હતી કે તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. પરંતુ ગણતરીની મિનિટોમા તે મોતને ભેટ્યો હતો.
 
પરિવાર દ્વારા મળતી માહિતી અનુસાર, અમનને એક કિડની હતી. તે એક જ કિડની પર જીવતો હતો. જોકે, તેને કોઈ શારીરિક તકલીફ ન હતી. એક કિડની હોવા છતા તે સ્વસ્થ હતો. 
 
અત્રે ઉલ્લેખનીય છે બોર્ડ પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ તણાવમુક્ત બની પરીક્ષા આપે. આ તમારા જીવનની અંતિમ પરીક્ષા નથી. પરીક્ષા આપતાં મનપ્રફૂલ્લિત રહે તે માટે સંગીત સાંભળો અથવા તમારી મનગમતી પ્રવૃતિ કરો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર