કોંગ્રેસના અલ્પેશ અને ધવલસિંહ આવતી કાલે રૂપાણી હસ્તે ભાજપના થશે

બુધવાર, 17 જુલાઈ 2019 (12:32 IST)
કોંગ્રેસમાંથી બળવો કરી અને પક્ષ છોડનારા ઓબીસી નેતા અને ઠાકોર સેનાના સ્થાપક અલ્પેશ ઠાકોર તેમજ બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલવસિંહ ઝાલા હવે ભાજપનો ખેંસ પહેરશે. લાંબા સમયથી જે અટકળો ચાલી રહી હતી તેના પર અંતે પૂર્ણ વિરામ લાગી ગયું છે. લોકસભાની ચૂંટણી વખતથી જેમના ભાજપ પ્રવેશની વાતો થઈ રહી હતી તે નેતાઓ અંતે ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન અંતર્ગત આવતીકાલે સાંજે કમલમ ખાતે બંને નેતાઓ ભાજપમાં જોડાશે. પ્રાપ્ત અહેવાલો મુજબ અલ્પેશ ઠાકોર અને ધવલિંસ ઝાલા ગુરૂવારે સાંજે 4.00 વાગ્યે મુખ્ય મંત્રી રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજરીમાં સંગઠનમાં પ્રવેશ કરી અને ભાજપનો ખેંસ પહેરશે. બંને નેતાઓએ અગાઉ કોંગ્રેસમાં અપમાન થતું હોવાનું કારણ આગળ ધરી પક્ષમાંથી અને ધારાસભ્ય તરીકે રાજીનામા ધરી દીધા હતા.અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જોડાતાની સાથે જ આગામી પેટાચૂંટણીમાં બંને નેતા ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડે તેવી વકી છે. અગાઉ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તેમનું પ્રાથમિક લક્ષ્ય રાધનપુરની જનતાની સેવા કરવાનું છે અને તેના માટે સત્તા પક્ષ સાથે રહેવું જરૂરી છે. ધવલસિંહ અલ્પેશ ઠાકોરના નજીકના નેતા છે અને તેઓ પણ પેટાચૂંટણી લડે તેવી વકી છે.તાજેતરમાંજ યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ અને ધવલસિંહે ક્રોસ વોટિંગ કરી અને ભાજપના ઉમેદવારોને મત આપ્યો હતો. કોંગ્રેસે બંને નેતાઓને ગેરલાયક ઠેરવવા માટે કોર્ટના દ્વારા ખટખટાવાની તૈયારી કરી હતી પરંતુ આગોતરા આયોજનના ભાગરૂપે બંને નેતાઓએ મત આપી તાત્કાલિક ધોરણે ધારાભ્ય તરીકે રાજીનામા આપી ધરી દીધા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર