અકસ્માતના આરોપી તથ્ય પટેલની જેગુઆર કારમાં સવાર તમામ લોકોને સાક્ષી બનાવાયા

સોમવાર, 24 જુલાઈ 2023 (17:32 IST)
કારમાં સવાર શાન, માલવિકા, શ્રેયા, ધ્વનિ અને આર્યનને કોર્ટમાં હાજર કરાયા હતાં
 
અમદાવાદઃ શહેરના ઈસ્કોન બ્રિજ પર થાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માત સમયે ત્યાં ઉભેલા લોકોને જેગુઆર કારથી કચડી નાંખનારા આરોપી તથ્ય પટેલને હવે જેલ હવાલે કરવામાં આવ્યો છે. તેના પિતાને કોર્ટે પહેલાં જ જેલ હવાલે કરી દીધો હતો. આ કેસમાં કારમાં સવાર એક છોકરો અને ત્રણ છોકરીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતાં. જેમાં  શાન માલવિકા, શ્રેયા, ધ્વનિ અને આર્યનને કોર્ટમાં હાજર કરાયા હતાં. આ તમામની સાથે તેમના વાલીઓ પણ કોર્ટમાં આવ્યા હતાં. આ તમામ લોકોના કોર્ટમાં સાક્ષી તરીકે નિવેદન લેવાયા હતાં. 
 
પોલીસે તથ્યના વધુ રિમાન્ડની માંગ ના કરી
આજે તથ્ય પટેલના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટ રૂમ પણ ખીચોખીચ ભરાઈ ગયો હતો. પોલીસે તથ્યને કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગ નહોતી કરી. જેથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હવે તથ્ય અને તેનો પિતા સાબરમતિ જેલમાં રહશે. તથ્યના વકીલે તેને મળવા માટે સમય માંગ્યો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે. 
 
FSLના રીપોર્ટમાં કારની સ્પીડને લઈ ધડાકો
બીજી તરફ FSLના રીપોર્ટમાં કારની સ્પીડને લઈ ધડાકો કરવામાં આવ્યો છે. FSL દ્વારા હાલમાં જે રીપોર્ટ સોંપવામાં આવ્યો છે એમાં એવું કહેવાયું છે કે અકસ્માત થયો ત્યારે તથ્યની જેગુઆર કાર 142.5 કિ.મીની સ્પીડે દોડતી હતી.આ કેસમાં હવે RTO તથા જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ આવશે. તેમાં પણ કાર કેટલી સ્પીડે દોડતી હતી તે નક્કી થશે. 
 
તથ્ય પટેલ સામે વધુ એક કેસ નોંધાયો
માલેતુજાર નબીરા તથ્યએ સિંધુભવન રોડ પર થાર કાર એક રેસ્ટોરાંમાં ઘૂસાડી દીધી હતી અને દિવાલને નુકસાન પહોંચાડ્યું હતું. આ કેસમાં જે તે સમયે સમાધાન થયું હતું. આ થાર ગાડી રેસ્ટોરાંમાં ઘૂસી તેનો વીડિયો પણ સામે આવ્યો છે. હવે આ કેસમાં પોલીસે 20 દિવસ પછી ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આ કાર તથ્ય ચલાવતો હતો કે કોઈ અન્ય તેની તપાસ પણ પોલીસ દ્વારા કરાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર