અમદાવાદના કુખ્યાત અઝહર કિટલીએ જેલમાંથી વેપારીને ફોન કર્યો, પાંચ લાખની ખંડણી માંગી

મંગળવાર, 16 ઑગસ્ટ 2022 (11:40 IST)
અમદાવાદના કુખ્યાત અઝહર કિટલી વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. અઝહર કિટલીએ જેલમાં બેઠા બેઠા એક વેપારીને ફોન કરીને પાંચ લાખ રુપિયાની ખંડણી માગી હતી. પોતાને મોટો ડોન સમજતો હોય એ રીતે અઝહર કિટલીએ રુપિયાની ખંડણી માંગીને વેપારીના ઘરે માણસો મોકલ્યા હતા. આ શખસોએ વેપારીના ઘરે તોડફોડ કરીને ધમાલ મચાવી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જે બાદ વેજલપુર પોલીસે અઝહર કિટલી અને તેની ગેંગના સાગરિતો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના વેજલપુરના કુખ્યાત અઝહર કિટલી વિશે એવું કહેવામા આવે છે કે, તેણે નાની ઉંમરમાં ગુનાખોરીમાં પગ મૂક્યો હતો. કુખ્યાત અઝહર કિટલી ડોન બનવા માંગતો હતો. પણ તેના આ સપના પર એટીએસએ પાણી ફેરવી નાખ્યું હતું. તે મુંબઈના ગેંગસ્ટરની જેમ ડોન બનવા માંગતો હતો. પણ 2021માં એટીએસે તેને ઝડપી પાડ્યો હતો. એ પછી વેજલપુર પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો.21 વર્ષની ઉંમરે તેણે ક્રાઈમની દુનિયામાં પગ મૂક્યો હતો. 2009માં તેણે પહેલીવાર ગુનો આચર્યો હતો. સૂત્રો મુજબ, તેણે 19 જેટલાં ગુનાઓને અંજામ આપ્યો છે. જેથી તેના વિરુદ્ધ ગીજસીટોક ગુનો નોંધવામાં આવ્યો હતો.જો કે, હાલ તો અઝહર કિટલી જેલમાં છે. રાણીપ પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે પણ તેની પાસેથી મોબાઈલ મળ્યો હોવાના રિપોર્ટ છે. એના વિશે એવું પણ કહેવામાં આવે છે કે તે મુંબઈના કુખ્યાત ગેંગસ્ટર માન્યા સુરવેના વહેમમાં ફરતો હતો. તે માન્યા સુરવે બનવા માંગતો હતો પણ પોલીસે તેના આ ગંદા ઈરાદાઓ સાકાર થવા દીધા નહીં. 2021માં અઝહર કિટલીની ધરપકડ કરવામાં આવી હતી અને તેના બદઈરાદાઓ પર પાણી ફરી વળી ગયું હતું. ત્યારે ફરી એક વાર અઝહર કિટલીનો આ વિવાદ સામે આવ્યો છે. જેણે જેલમાંથી બેઠા બેઠા વેપારીને ફોન કરીને ખંડણી માગી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર