અમદાવાદમાં સિવિલ મેડિસીટીની તમામ હોસ્પિટલમાં મંગળ,ગુરુ,શુક્ર અને શનિવારે કોરોના રસીકરણ કાર્યરત રહેશે

સોમવાર, 18 જાન્યુઆરી 2021 (17:54 IST)
અમદાવાદમાં ગત 16મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોરોનાની રસી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા અંતર્ગત કો-વિન સોફ્ટવેરમા જેનું નામાંકન થયેલુ છે તે લોકોને રસી આપવામાં આવે છે. કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યને દિવસો ફાળવવામાં આવ્યા છે. જેમાંથી અમદાવાદ સિવિલ સંકુલની તમામ હોસ્પિટલમાં સોમવાર, બુધવાર અને રવીવારે રસીકરણ પ્રક્રિયા બંધ રાખવામાં આવશે. આ દિવસોને બાદ કરતા અન્ય સમયગાળા દરમિયાન કોરોના રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.  અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલ વિવિધ હોસ્પિટલમાં કુલ 10 રસીકરણ કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં દરેક કેન્દ્ર પર રસીકરણ પ્રક્રિયા કાર્યરત હોય ત્યારે 100 હેલ્થકેર વર્કરોને રસીના ડોઝ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.અમદાવાદ સિવિલ મેડિસીટીમાં સિવિલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, સ્પાઇન હોસ્પિટલ,ડેન્ટલ હોસ્પિટલ અને આંખની હોસ્પિટલનો સમાવેશ થાય છે. વેક્સિનના પ્રથમ દિવસે અમદાવાદના 20 કેન્દ્રો ખાતેથી 1115 જેટલા ડોક્ટર અને નર્સિંગ સ્ટાફે વેક્સિન લીધી હતી. જેમાં 565 પુરુષ અને 550 મહિલાનો સમાવેશ થાય છે. કુલ 1900 લોકોનું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાંથી 785 લોકોએ વેક્સિન મુકાવી ન હતી. જે લોકોએ વેક્સિન મુકાવી તે પૈકી માત્ર 4ને સામાન્ય અસર થઈ હતી. જેમાંથી એકને ઉલટી જ્યારે અન્ય ત્રણને ઉબકાની ફરિયાદો મળી હતી. ઓબ્ઝર્વેશન રૂમમાં જ આ ફરિયાદો મળતાં અહીં પ્રાથમિક સારવાર અપાઈ હતી. જો કે, આ પછી કોઈપણ ફરિયાદ મળી ન હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર