PM બાદ CM એ કરી સહાયની જાહેરાત, કેંદ્ર સરકાર તરફથી 2 અને રાજ્ય સરકાર તરફથી 4 લાખ સહાયની જાહેરાત

બુધવાર, 19 મે 2021 (20:38 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની આફતથી થયેલા નુકસાનમાં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડની વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કરેલી જાહેરાતને આવકારી ને વડાપ્રધાન અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
 
મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગુજરાત પર આવેલી આ આફત સહિત જ્યારે જયારે ગુજરાત ને જરૂરિયાત ઊભી થઈ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદાર સહાય આપીને ગુજરાત ની વિપદાઓ માં પડખે ઊભા રહ્યા છે.
 
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ આ વાવાઝોડાની આફતમાં પણ પ્રધાનમંત્રીશ્રી એ ગુજરાતને કરેલી આ સહાય  વધુ રાહત રૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે .
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ જાહેર કર્યું છે કે આ વાવાઝોડાને કારણે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે. તેવા મૃતકોના વારસદારોને ગુજરાત સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાય ભારત સરકારે જાહેર કરેલી 2 લાખની સહાય ઉપરાંત અપાશે. આમ રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને કુલ 6 લાખની સહાય મળશે. 
 
મુખ્યમંત્રીએ એવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે આ તાઉતે વાવાઝોડામાં ઇજા પામેલા લોકો ને રાજ્ય સરકાર 50 હજારની સહાય આપશે. આ સહાય પણ પ્રધાન મંત્રીએ જાહેર કરેલી સહાય ઉપરાંત  રાજ્ય સરકાર આપશે એટલે કે આ વાવાઝોડાથી જેમને ઇજા થઇ છે તેવા ઇજાગ્રસ્તોને કુલ 1 લાખની સહાય અપાશે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની ઉચ્ચ સ્તરીય બેઠક માં રાજ્યમાં તાઉતે વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની વિશદ ચર્ચા વિચારણા તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન અને પૂર્વવત્ સ્થિતિ પ્રસ્થાપિત કરવા માર્ગ મકાન ઊર્જા સહિતના વિભાગોના સચિવોને તાકીદ કરવામાં આવી હતી.
 
આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર