અમદાવાદના સરખેજમાં મકાનમાં ગેસ ગીઝરમાં આગ લાગી, પાંચથી વધુ લોકો દાઝ્યા

ગુરુવાર, 10 ઑગસ્ટ 2023 (12:38 IST)
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યાં
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લઈ લેવામાં આવી
 
અમદાવાદઃ શહેરના સરખેજમાં એક મકાનમાં ગેસ ગીઝરમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. સમગ્ર મકાન આગની ચપેટમાં આવી ગયું હતું. ફાયરબ્રિગેડની ત્રણથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાને કારણે પાંચથી સાત લોકો દાઝી ગયા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનામાં કોઈ ગંભીર ઈજાના કોઈ સગડ મળ્યા નથી. 
 
સમગ્ર ઘરમાં ધીમે ધીમે આગ પ્રસરી ગઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના સરખેજ વિસ્તારમાં શીતળા માતાજીના મંદિર પાછળ નાયકના મઢમાં એક મકાનમાં ગેસ ગીઝરમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે મકાનમાં ગેસનો ગીઝર ચાલુ હતું તે ગીઝરમાં અચાનક ભડકો થતા આગ લાગી હતી. સમગ્ર ઘરમાં ધીમે ધીમે આગ પ્રસરી ગઈ હતી. 
 
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાઈ
આગ લાગવાના કારણે ઘરમાં હાજર તમામ લોકો દાઝ્યા હતાં. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ત્રણથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો તેમજ ગેસના બાટલા હતા તે તમામ બાટલાઓને બહાર કાઢી લીધા હતા. આ ઘટનામાં નાની મોટી ઇજાઓ થઈ છે હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લઈ લેવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર