ગુજરાતના 560 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ, મુક્ત કરવાની પ્રોસેસમાં લાગે છે લાંબો સમય

ગુરુવાર, 2 માર્ચ 2023 (11:10 IST)
ગુજરાત સરકારે બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યના 560 માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ છે. ગુજરાતના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં આમાંથી લગભગ અડધા (274) માછીમારો પાકિસ્તાને પકડ્યા છે. તેઓ પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. મંત્રીએ કહ્યું કે 2021માં 193 માછીમારો પકડાયા હતા જ્યારે 2022માં 81 પકડાયા હતા. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી અરબી સમુદ્રમાં ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) ઓળંગીને પાકિસ્તાની જળસીમામાં પ્રવેશવા બદલ ગુજરાતમાંથી માછીમારોની ધરપકડ કરતી રહે છે.
 
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે આ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે છેલ્લા બે વર્ષમાં તેમની રાષ્ટ્રીયતાના પુરાવા અને જરૂરી દસ્તાવેજો ગૃહ મંત્રાલયને સોંપ્યા છે. હાલમાં, ગુજરાત સરકાર પકડાયેલા માછીમારોના પરિવારોને વળતર તરીકે પ્રતિદિન રૂ.300 આપે છે. 2021 માં, જ્યારે ગુજરાતના 323 માછીમારો પાકિસ્તાનની જેલમાં હતા, ત્યારે રાજ્ય સરકારે તેમના પરિવારોને 4.28 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપી હતી. જૂન 2022 સુધી, સરકારે 425 માછીમારોના પરિવારોને 2.58 કરોડ રૂપિયા ચૂકવ્યા.
 
રાજ્ય સરકારે ગૃહને માહિતી આપી હતી કે પાકિસ્તાન સરકાર દ્વારા પકડાયેલા ગુજરાતી માછીમારો અને તેમની બોટોની મુક્તિ સુનિશ્ચિત કરવા માટે વર્ષ 2021માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને 11 ઔપચારિક અપીલ કરવામાં આવી હતી. તેવી જ રીતે વર્ષ 2022માં 10 અપીલ કરવામાં આવી છે. વર્ષ 2023માં પણ ગુજરાત સરકાર આ કામ માટે ગૃહ મંત્રાલયને સતત અપીલ કરી રહી છે. પાકિસ્તાનની જેલમાં કેદ ઘણા ભારતીય માછીમારો તેમની સજા પૂરી કરી ચૂક્યા છે, પરંતુ તેમને હજુ મુક્ત કરવામાં આવ્યા નથી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં માછીમારોની રાષ્ટ્રીયતાની ઓળખ, વેરિફિકેશન અને કોન્સ્યુલર એક્સેસ મેળવવાની સમગ્ર પ્રક્રિયામાં ઘણા મહિનાઓ લાગે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર