કરજણ નદીમાં ડૂબી જતા ભરૂચના એક જ પરિવારના 5 સભ્યના મોત

સોમવાર, 30 મે 2022 (16:39 IST)
નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના માંડણ ખાતે ફરવા આવેલા ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યના કરજણ નદીમાં ડૂબી જતા મોત થયા છે. જેને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામ ખાતે કુદરતી સૌંદર્ય નિહાળવા અને નદીમાં ન્હાવા માટે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના પ્રવાસીઓ આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યો માંડણ ગામમાં ફરવા આવ્યા હતા.

ગરમીથી રાહત મેળવવા તેઓ કરજણ નદીમાં ન્હાવા પડતાં પહેલા નાનો છોકરો પાણીમાં ડૂબવા લાગતા એક પછી એક પાંચેય સભ્યો ડૂબ્યા હતા. રાજપીપળા નગરપાલિકા અને નર્મદા પોલીસે એક મૃતદેહ શોધ્યો હતો. ત્યારબાદ આજે સવારે વડોદરાથી SDRFની ટીમ પહોંચી ગઇ હતી અને અન્ય 4 મૃતદેહો શોધી કાઢ્યા હતા.ભરૂચ જિલ્લાના જોલવા ગામના જનકસિહ બલવંતસિંહ પરમાર (ઉ.35), જીગનીશાબેન જનકસિંહ પરમાર(ઉ.32), પૂર્વરાજ જનકસિંહ પરમાર (ઉ.08), વિરપાલસિહ પરબતસિંહ ચૌહાણ (ઉ.વ 27) તથા ખુસિબેન/સંગીતાબેન વિરપાલસિંહ ચૌહાણ(ઉ.વ 24)ના નદીમાં ડૂબી જતા મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઇ હતી અને તમામના મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર