અમદાવાદમાં બિલ્ડર બી નાનજી ગ્રુપના માલિક સામે 16.83 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

ગુરુવાર, 30 માર્ચ 2023 (13:07 IST)
અમદાવાદમાં છેતરપિંડીના ગુનાઓમાં ભારે વધારો થઈ રહ્યો છે. પહેલાં ઓનલાઈન છેતરપિંડીના ગુનાઓ વધ્યા હતાં અને હવે પૈસાની લેતીદેતીમાં છેતરપિંડી થતી હોવાના ગુનાઓ વધી રહ્યાં છે. આવી ઘટનાઓમાં મોટા વેપારીઓ ઠગાઈનો ભોગ બની રહ્યાં છે. ત્યારે શહેરમાં બિલ્ડર બી નાનજી ગ્રુપના માલિક સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં 16.83 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં કાપડિયા ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપના ભાગીદાર કુમુદચંદ્ર કાપડીયા અને બી નાનજી ગ્રુપ છેલ્લા દસેક વર્ષથી વેપાર ધંધો કરે છે.  કુમુદચંદ્ર કાપડીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બી નાનજી ગ્રુપના સંદીપ ભીખુભાઈ પડશાળા અમારી પેઢી પાસેથી ફાઈનાન્સ લેતા આવ્યાં છે. તેમણે અમારી ત્રણેય પેઢી પાસેથી લીધેલા કુલ રૂપિયા 16 કરોડ 83 લાખ 80 હજાર રૂપિયા હજી અમને પરત આપ્યા નથી. તે ઉપરાંત આ રૂપિયાની સામે તેમણે અમને જમીનનો મોર્ગેજ દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. 
 
તેમણે આ દસ્તાવેજમાં કહ્યું હતું કે, જો તેઓ સમયસર પૈસા ના ચૂકવી શકે તો આ જમીનનો મોર્ગેજ દસ્તાવેજ અમને કરી આપવાની શરત મુકી હતી. આ શરત મુજબ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઈચલણ દ્વારા ત્રણ લાખ રૂપિયા ભરીને બંને પક્ષકારો સહીઓ કરીને દસ્તાવેજ કરવાનો સમય અને તારીખ  મેળવેલ હોવા છતાં તેઓ હાજર રહ્યા નહોતા. તેમને ધીરાણ આપેલ નાણાં, જમીનના નાણાં નહીં ચૂકવીને પૂર્વ આયોજિત કાવતરૂ રચીને અમારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. આ ફરિયાદના આધારે પોલીસે  વઘુ કાર્યવાહી હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર