રાજકોટમાં અંધશ્રદ્ધાએ 10 મહિનાની બાળકીનો ભોગ લીધો, ન્યૂમોનિયા થતાં ગરમ સોયના ડામ આપ્યા હતાં

બુધવાર, 9 ઑગસ્ટ 2023 (17:08 IST)
superstition in Rajkot
પરિવાર પાસે સારવારના પૈસા નહીં હોવાથી ભૂવા પાસે બાળકીને લઈ જવામાં આવી હતી
 
Rajkot News - તાજેતરમાં વધુ એક બાળકી અંધશ્રદ્ધાની ભોગ બની હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. વિરમગામમાં રહેતા પરિવારમાં 10 મહિનાની બાળકી બીમાર થતાં તેને વડગામ ખાતેના મંદિરે લઈ જવામાં આવી હતી. જ્યાં તેને ગરમ સોયના ડામ દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ બાળકીની તબિયત વધુ લથડતાં તેને સારવાર માટે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બાળકીની સારવાર ચાલુ હતી તે દરમિયાન આજે તેનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. શકરી નામની મહિલાએ બાળકીને ડામ આપ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. 
 
દીકરીને શ્વાસની તકલીફ હોસ્પિટલ લઈ ગયા હતા
આ ઘટના બની ત્યારે લઈને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતાં. જ્યાં તેમણે બાળકી અંગે પુછપરછ કરતાં તેની તબિયત ખૂબ નાજુક હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માસુમ બાળકીને નિમોનિયા થયો છે. સરકાર દ્વારા મેડિકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી એક દાખલો બેસાડવો જોઈએ. આ મામલે બાળકીના દાદાએ મીડિયાને જણાવ્યું હતું કે  દીકરીને શ્વાસની તકલીફ થતાં વિરમગામ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં ડોક્ટરે રૂ.50થી 60 હજારનો ખર્ચો થશે તેવું જણાવતાં દીકરીને લઈ અમે ઘરે પરત આવ્યા હતા. 
 
ડોક્ટરો દ્વારા માસૂમની સઘન સારવાર શરૂ કરાઈ
તેમણે વધુમાં કહ્યું હતુંકે, સંબંધીઓએ વડગામમાં ડામ દેવાની સલાહ આપતાં સાંજે ત્યાં બાળકીને લઈ ગયા હતા, જ્યાં મંદિરનાં ભૂવાએ તેના પેટના ભાગે ત્રણ જેટલા ડામ આપ્યા હતા. બાળકીની વધુ તબિયત બગડતાં તેને સારવાર માટે મોડી રાત્રે ત્રણેક વાગ્યે રાજકોટ ખસેડવામાં આવી હતી. અહીં ડોક્ટરે પોલીસને જાણ કરવાનું કહેતાં જાણ પણ કરી હતી. બાદમાં ડોક્ટરોએ સારવાર શરૂ કરતાં બાળકીની તબિયત સુધારા પર આવી હતી. બાળકી માત્ર 10 મહિનાની હોવાથી કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. હાલ ડોક્ટરો દ્વારા માસૂમની સઘન સારવાર કરાઈ રહી હતી પરંતુ આજે બાળકીનું કરૂણ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર