અમદાવાદ: યુવતીએ કર્યો આપઘાત, સુસાઇટ નોટમાં લખ્યું- સોરી મમ્મી હું કંટાળી ગઇ છું. થાકી ગઇ છું.

બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (11:12 IST)
શહેરમાં અવારનવાર યુવતીઓ દ્વારા આપઘાત કર્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં જ આવી એક ઘટના બની છે. જેમાં યુવતી પાસે સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવતીએ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ત્યારે ઘટનાની તપાસ કરવા પહોંચેલી પોલીસને યુવતીની લાશ પાસેથી સુસાઇટ નોટ પણ મળી આવી હતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના રાણીપ વિસ્તારમાં એક યુવતીએ ગળફાંસો ખાઇ આપઘાત કર્યો છે. ત્યારે યુવતીની માતાએ આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને લઇ ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચેલી પોલીસને સુસાઇય નોટ મળી આવી હતી. જેમાં યુવતીએ લખ્યું હતું કે, ‘સોરી મમ્મી હું કંટાળી ગઇ છું. થાકી ગઇ છું. રોજ રોજના ઝઘડાથી. રોજ મારાથી એ ઝઘડો કરે છે. અને મને ધમકી આપે છે કે તું મારી જોડે શારીરિક સંબંધ બાંધ નહીં તો સગાઇ તોડી દે.
 
સુસાઇટ નોટમાં વધુમાં લખ્યું હતું કે, મારથી હવે સહન થતું નથી. મેં એને કીધું કે હું મારી મમ્મી-પપ્પાનો વિશ્વાસ નથી તોડી શકતી. પણ એ સમજવા માંગતો નથી. મને રોજ એવું જ કહે છે કે તે રાહુલ જોડે સંબંધ બાંધ્યો છે એટલે તું મને ના પાડે છે. હું એને કહી કહીને થાકી ગઇ છું. તેણે મને અંદરથી તોડી દીધી છે. મમ્મી હું તમારો વિશ્વાસ તોડી નથી શકતી. તમે મને જન્મ આપ્યો છે. મને માફ કરજે...
 
પોલીસે યુવતીના પરિવારજનોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, યુવતીની સગાઇ નવા વાડજમાં રહેતા પરેશ સાથે થઈ હતી. જે બાદમાં આઠમી સપ્ટેમ્બરના રોજ બંને ફરવા માટે ગયા હતાં. ફરીને પરત આવ્યા બાદ યુવતી સતત ઉદાસ રહેતી હતી. આ અંગે તેની માતાએ તેને પૂછતા યુવતીએ તબિયત સારી ન હોવાની કહીને વાત ટાળી દીધી હતી.
 
પરિવારના કહેવા પ્રમાણે તેમની દીકરીની ચાર વર્ષ પહેલા તેમની દીકરીની સગાઈ રાણીપ ખાતે રહેતા રાહુલ નામના યુવાન સાથે થઈ હતી. જોકે, વડીલોને મનમેળ ન આવતા બે વર્ષ બાદ સગાઇ તોડી નાંખી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસે હાલમાં આરોપી વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર