મહેસાણીથી ઊંઝા સુધીની યાત્રામાં ઉમટ્યા હજારો પાટીદારો

સોમવાર, 8 ઑગસ્ટ 2016 (13:55 IST)
રવિવારે પાટીદારોએ ફરીવાર ધમધમાટ શરૂ કર્યો હતો. પાટીદારોએ સ્વાભીમાન યાત્રા કાઢી હતી. જેમાં 50 હજારથી વધુ લોકો જોડાયા હતાં. તેઓ મહેસાણાથી ઊંઝા સુઘી પગપાળા પહોંચ્યા હતાં. આ યાત્રામાં ભજન મંડળીઓ, ઊંટલારીઓ, બળદગાડા, ટેક્ટર્સ, બાઇક સાથે પાટીદારો જોડાયા હતા. આ યાત્રામાં મહેસાણાથી લઈ ઊંઝા સુધી 1100થી વધારે સ્વયંસેવકો યાત્રામાં જોડાયેલા પાટીદારોની વ્યવસ્થામાં ખડેપગે હાજર રહ્યા હતા. પદયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તરફથી પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પાસ મહિલા કન્વીનર રેશ્મા પટેલે 2017માં સરકારને દેખાડી દઇશું, તેવી હુંકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ એવી વાત કરે છે કે, અમિત શાહ ચાણક્યનીતિથી સંગઠનની રચના કરે છે. પરંતુ હું કહીશ કે ચાણક્યનીતિ નહીં પણ શકુનિની નીતિથી સંગઠનની રચના કરી છે. જ્ઞાતિવાદને ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે. એનું ઉદાહરણ આપતાં તેમણએ કહ્યું હતું કે, પાટીદાર દમન વખતે મુખ્યમંત્રીને આવતાં રોકાયા અને દલિતોને સહાનુભૂતિ આપવા માટે મોકલ્યા. આ સમયે વિજય રૂપાણીને કેમ આગળ ન કરાયા? તેમણે એમ પણ કહ્યું હતું કે, 10 ટકા ઇબીસીની જાહેરાત સમયે ભાજપે રૂપાણીને આગળ કરી તેમના દ્વારા 10 ટકા ઇબીસીની જાહેરાત કરાવી.

વેબદુનિયા પર વાંચો