છેલ્લા ત્રણ માસથી પાટીદારો માટેના અનામતને મુદ્દે ચાલી રહેલું આંદોલન ગઇ કાલે સરકારે જાહેર કરેલ શૈક્ષણિક નીતિ અને રૂ.૧,૦૦૦ કરોડના આર્થિક પેકેજ પછી હવે યુ ટર્ન લઇ રહ્યું છે. સરકારના આર્થિક પેકેજ અને નવી નીતિથી અસંતુષ્ટ પાટીદારો વડીલોના શરણે ગયા છે.
આ અંગે એસપીજી ગાંધીનગરના નેતા ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં પાટીદાર સંસ્થાના વડીલોની ઉપસ્થિતિ અને નેતૃત્વમાં એક બેઠક યોજાશે. જેમાં હવે પછીના કાર્યક્રમો અંગેની રણનીતિ ઘડવામાં આવશે. સરકારે જાહેર કરેલી નીતિ અને પેકેજના મુદ્દે અમારા નેતાઓએ તેમની પ્રતિક્રિયા જાહેર કરી દીધી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડીલોમાં કોનું હશે નેતૃત્વ
જેમના નેતૃત્વમાં હવે પછીની અનામત આંદોલનની લડાઇ આગળ ધપાવવામાં આવશે. તેને હવે 'વડીલો' નામ અપાયું છે. જેમાં મુખ્યત્વે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, ઉમિયા માતાજી સંસ્થાન સિદસર, ખોડલધામ કાગવડ અને સમસ્ત પાટીદાર સમાજ સુરતનો સમાવેશ કરાયો છે. આ ચાર સંસ્થાના પ્રતિનિધિઓની એક નવી ટીમ બનશે.
અનામત અને મેડિકલ કોલેજની નીતિ જાહેર નહીં કરવાના મુદ્દે તેમજ રાજસ્થાન પેટર્ન પણ ઉપયોગમાં નહીં લેવાના મુદ્દે પાટીદારો નારાજ છે, પરંતુ કોઇ પણ પ્રકારના વિખવાદો ટાળવા હવે તેઓ વડીલોની રાહે આંદોલન આગળ ધપાવશે.