મોદી કેમ ઈચ્છે છે વન નેશન-વન ઇલેક્શન ? આ કેવી રીતે કામ કરશે? શું હશે તેની રૂપરેખા, જાણો તેના ફાયદા અને નુકશાન

ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024 (09:41 IST)
one nation one election
PM નરેન્દ્ર મોદીએ દેશને આપેલું વધુ એક વચન પૂરું કર્યું છે. મોદી કેબિનેટે વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તો આ અંતર્ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાશે. સરકાર આ અંગે સંસદના શિયાળુ સત્રમાં એટલે કે નવેમ્બર-ડિસેમ્બરમાં બિલ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ માર્ચમાં આ અંગે પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી હતી  કે પ્રથમ પગલા તરીકે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. સમિતિએ ભલામણ કરી હતી કે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવી જોઈએ.
 
'વન નેશન-વન ઇલેક્શન'નો કોન્સેપ્ટ  શું છે?
 વન નેશન-વન ઇલેક્શનનો અર્થ એ છે કે ભારતમાં તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઇએ. આ ઉપરાંત, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ તે જ દિવસે અથવા નિશ્ચિત સમય મર્યાદામાં યોજવી જોઈએ. પીએમ મોદી લાંબા સમયથી વન નેશન વન ઈલેક્શનની વકાલત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી માત્ર ત્રણ કે ચાર મહિના માટે થવી જોઈએ, આખા 5 વર્ષ સુધી રાજકારણ ન થવું જોઈએ. તેમજ ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થવો જોઈએ અને વહીવટી તંત્ર પર બોજ ન વધવો જોઈએ.
 
આઝાદી પછી એકસાથે ચૂંટણીઓ યોજાય ચુકી છે  
 આઝાદી પછી 1967 સુધી દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાતી હતી. 1952, 1957, 1962 અને 1967માં બંને ચૂંટણી એકસાથે યોજાઈ હતી, પરંતુ રાજ્યોની પુનઃગઠન અને અન્ય કારણોસર ચૂંટણીઓ જુદા જુદા સમયે થવા માંડી. 
 
એક દેશ, એક ચૂંટણી જાણો મોદી સરકાર શા માટે  આ જરૂરી માને છે -
- તેનાથી જનતાને વારંવારની ચૂંટણીઓમાંથી મુક્તિ મળશે. ચૂંટણી ખર્ચ બચશે અને મતદાનની ટકાવારી વધશે.
- દર વખતે ચૂંટણી થાય ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, જે કદાચ ઓછો હોય.
- આ ઉપરાંત  તે દેશમાં રાજકીય સ્થિરતા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
- ચૂંટણીના કારણે વારંવાર નીતિઓમાં ફેરફાર કરવાનો પડકાર ઓછો રહેશે.
- સરકારો વારંવાર ચૂંટણી મોડમાં જવાને બદલે વિકાસના કામો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
- વહીવટીતંત્રને પણ આનો ફાયદો થશે, ગવર્નન્સ પર ભાર વધશે.
- પોલિસી પેરાલીસીસ જેવી પરિસ્થિતિમાંથી આપણે છુટકારો મેળવીશું અને અધિકારીઓનો સમય અને શક્તિ બચશે.
- તેનાથી મોટો આર્થિક ફાયદો પણ થાય છે. સરકારી તિજોરી પરનો બોજ ઘટશે અને આર્થિક વિકાસને વેગ મળશે.
 
રામનાથ કોવિંદ સમિતિની ભલામણો-
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની એક ઉચ્ચ-સ્તરીય સમિતિએ પ્રથમ પગલા તરીકે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની ભલામણ કરી હતી, ત્યારબાદ 100 દિવસની અંદર એક સાથે સ્થાનિક સ્વરાજની  ચૂંટણીઓ યોજવાની ભલામણ કરી હતી. આ સમિતિએ પોતાની ભલામણોમાં કહ્યું છે કે ત્રિશંકુ સ્થિતિ અથવા અવિશ્વાસ પ્રસ્તાવ અથવા આવી કોઈ સ્થિતિના કિસ્સામાં નવી લોકસભાની રચના માટે નવેસરથી ચૂંટણી યોજવામાં આવી શકે છે. સમિતિએ કહ્યું કે જ્યારે લોકસભા માટે નવી ચૂંટણીઓ યોજાશે ત્યારે તે ગૃહનો કાર્યકાળ નક્કી કરવામાં આવશે.
 
સમિતિએ કહ્યું કે આવી વ્યવસ્થા લાગુ કરવા માટે બંધારણની કલમ 83 (સંસદના ગૃહોની અવધિ) અને કલમ 172 (રાજ્ય વિધાનસભાની અવધિ)માં સુધારો કરવાની જરૂર પડશે. "આ બંધારણીય સુધારાને રાજ્યો દ્વારા બહાલી આપવાની જરૂર રહેશે નહીં," સમિતિએ જણાવ્યું હતું. તેમાં ભારતના ચૂંટણી પંચે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરવાની ભલામણ પણ કરી હતી. સમિતિએ કહ્યું કે આ હેતુ માટે મતદાર યાદી સંબંધિત કલમ 325માં સુધારો કરી શકાય છે.
 
વન નેશન-વન ઈલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે અનેક પડકારો 
 
- વન નેશન-વન ઈલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં સૌથી મોટો પડકાર બંધારણ અને કાયદામાં ફેરફારનો છે. એક દેશ, એક ચૂંટણી માટે બંધારણમાં સુધારો કરવો પડશે. આ પછી તેને રાજ્યની એસેમ્બલીઓએ પાસ કરાવવો પડશે.
- જો કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે, પરંતુ તે અગાઉ પણ ભંગ કરી શકાય છે. સરકાર સામે સૌથી મોટો પડકાર એ રહેશે કે જો કોઈપણ રાજ્યની લોકસભા કે વિધાનસભા ભંગ કરી દેવામાં આવે તો એક દેશ, એક ચૂંટણીની વ્યવસ્થા કેવી રીતે જાળવવી.
- આપણા દેશમાં EVM અને VVPAT દ્વારા ચૂંટણી થાય છે, જેની સંખ્યા મર્યાદિત છે. લોકસભા અને વિધાનસભાની અલગ-અલગ ચૂંટણીને કારણે તેમની સંખ્યા પૂરી પડે છે. 
- જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાય તો વધુ મશીનોની જરૂર પડશે. આને પૂર્ણ કરવું પણ એક પડકાર હશે.
- એક સાથે ચૂંટણી માટે વધુ વહીવટી અધિકારીઓ અને સુરક્ષા દળોની જરૂરિયાત પૂરી કરવી એ પણ એક મોટો પ્રશ્ન બનીને ઉભરી આવશે.
-રાજકીય પક્ષોમાં સર્વસંમતિ નથી
 
પરંતુ અહી ઉલ્લેખનીય છે કે  વન નેશન-વન ઈલેક્શન માટે તમામ રાજકીય પક્ષોના અલગ-અલગ વિચારો છે, આના પર સર્વસંમતિ બની રહી નથી. કેટલાક રાજકીય પક્ષો માને છે કે આવી ચૂંટણીઓથી રાષ્ટ્રીય પક્ષોને ફાયદો થશે, પરંતુ પ્રાદેશિક પક્ષોને નુકસાન થશે. ખાસ કરીને પ્રાદેશિક પક્ષો આવી ચૂંટણી માટે તૈયાર નથી. તેઓ એવું પણ માને છે કે જો વન નેશન-વન ઈલેક્શનની વ્યવસ્થા કરવામાં આવે તો રાષ્ટ્રીય મુદ્દાઓ સામે રાજ્ય સ્તરના મુદ્દા દબાવી દેવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર