નર્મદાએ વટાવી 133 મીટરના જળસ્તરની સપાટી, 15 ડેમના દરવાજા ખોલાયા

મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (14:53 IST)
નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થયો છે અને ડેમની જળ સપાટી ઐતિહાસિક સ્તરે પહોંચી છે. પ્રથમ વખત ડેમની જળ સપાટી 133.98 મીટર પર પહોંચી ગઇ છે. નર્મદા ડેમ કુલ સપાટી 138 મીટર છે. નર્મદા ડેમની જળ સપાટી ઇતિહાસમાં પ્રથમવાર 133 મીટરના સ્તરને પાર પહોંચી છે. ત્યારે ડેમનાં 15 દરવાજા ખોલાયા છે. પાણીની સારી આવક થતા RBPHના 6 અને CHPHના 2 ટર્બાઈનો આજે પણ ચાલું કરી દેવાયા છે.
જો કે, ડેમમાંથી 249231 ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા બે કાંઠે વહી રહી છે. ત્યારે કેવડિયા ખાતે આવેલો ગોરા બ્રીજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. પાણીની સારી આવક થતા RBPHના 6 અને CHPHના 2 ટર્બાઈનો શરૂ કરી હાઇડ્રોપાવર ઉત્પન્ન કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ડેમમાં પાણીની સારી આવક થતા રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તળાવો અને ડેમ ભરવાનું આયોજન કર્યુ છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૨૦ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૬ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૪૧ જળાશયો છલકાયા છે. ૪૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૨૨ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૮૧.૨૭ ટકા ભરાયું છે.  
રાજ્યમાં હાલમાં ૫,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૨,૮૧,૦૯૦, વણાકબોરીમાં ૫૨,૭૧૩, કડાણામાં ૩૨,૪૪૭, ઉકાઇમાં ૨૭,૮૭૮, દમણગંગામાં ૮,૮૯૯, પાનમમાં ૬,૬૭૪ ક્યુસેકનો સમાવેશ થાય છે. 
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૦.૪૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૧૫ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૯.૪૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૧.૦૧ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૨.૯૦ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૭૦.૭૨ ટકા એટલે ૩,૯૩,૬૯૬.૯૨ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર