વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અહી રમાબાઇ આંબેડકર મેદાનમાં પરિવર્તન મહારેલીને સંબોધન કરવાના છે. એક કલાકના સંબોધન દરમિયાન તેઓ નોટબંધી અને કેશલેસ લેવડ-દેવડ પ્રણાલી અંગે પણ ચર્ચા કરશે. સાથોસાથ તેઓ નવા વર્ષમાં લોકો માટે કેટલીક જાહેરાતો પણ કરે તેવી શકયતા છે. સત્તારૂઢ સપા પરિવારમાં ચાલી રહેલા વિવાદ તથા બસપા-કોંગ્રેસને પણ તેઓ નિશાના ઉપર લેશે.
આ મહારેલીમાં 10 લાખ લોકોની ભીડ ઉમટે તેવી શકયતા છે. જેને કારણે સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત બનાવવામાં આવી છે. બીજી તરફ મોદીની પરિવર્તન મહારેલીને લઇને ભાજપના કાર્યકરોએ રેલી સ્થળે જ નહી પરંતુ સમગ્ર લખનૌને ઝંડા, પોસ્ટરો અને બેનરોથી સજાવી દીધી છે. એવું કહેવાઈ રહ્યું છે કે પીએમ મોદી સાથે મંચ પર રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ઉમા ભારતી, કલરાજ મિશ્ર સહિત યુપીના તમામ મંત્રીઓ ઉપરાંત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. સંગઠન તરફથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, યુપી પ્રભારી ઓમ માથુર અને પ્રદેશ અધ્યક્ષ કેશવ મોર્ય પણ મંચ પર હાજર રહેશે. પાર્ટી અધિકૃત રીતે ભીડનો આંકડો આપવાથી બચી રહી છે પરંતુ પ્રશાસનને 10 હજાર બસો, 50 હજાર નાના વાહનો અને 8-10 લાખ લોકોના આવવાની સૂચના આપવામાં આવી છે.