મણિપુરમાં હિંસા બાદ પાંચ દિવસ માટે ઇન્ટરનેટ બંધ, બે જિલ્લામાં કલમ 144 લાગુ

સોમવાર, 8 ઑગસ્ટ 2022 (15:07 IST)
મણિપુરમાં એક વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવેલા વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કરી લેતાં તંત્ર દ્વારા પાંચ દિવસ માટે રાજ્યમાં ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે હિંસાથી પ્રભાવિત બે જિલ્લામાં કલમ 244 લાગુ કરવામાં આવી છે.
 
મણિપુરમાં 'ઑલ ટ્રાઇબલ સ્ટુડન્ટ યુનિયન મણિપુર' નામનું પ્રભાવશાળી વિદ્યાર્થી સંગઠન વિધાનસભામાં મણિપુર સ્વાયત્ત જિલ્લા પરિષદ (સંશોધન) વિધેયક 2021ને રજૂ કરવાની માગ કરી રહ્યું હતું.
 
જોકે, સરકારે આ વિધેયક વિધાનસભામાં મૂક્યા બાદ પ્રદર્શનકારીઓનો દાવો છે કે વિધેયક તેમની માગ અનુસાર નથી અને આ સાથે શરૂ થયેલા વિરોધપ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 
 
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં એક સમુદાયના ત્રણ-ચાર યુવકોએ કથિતપણે એક વાનને આગ લગાવી દીધી હતી.
 
મણિપુર સરકારનું કહેવું છે કે આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સાંપ્રદાયિક તણાવની સ્થિતિ ઊભી થઈ છે.
 
જેના લીધે રાજ્યના વિશેષ સચિવ એચ. જ્ઞાન પ્રકાશ તરફથી મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં પાંચ દિવસ માટે મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.
 
આ ઉપરાંત ચૂડાચંદ્રપુર અને બિષ્ણુપુર જિલ્લામાં આગામી બે મહિના માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર