ગુજરાતમાં પુરૂષોત્તમ રૂપાલાના વિરોધમાં આજથી ક્ષત્રિય આંદોલન પાર્ટ-2નો પ્રારંભ

બુધવાર, 24 એપ્રિલ 2024 (13:33 IST)
ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં આજથી ક્ષત્રિય આંદોલન પાર્ટ-2નો પ્રારંભ થયો છે. જેમાં રાજકોટ અને કચ્છથી ધર્મરથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. કચ્છમાં માતાના મઢથી ધર્મરથની શરૂઆત થશે. તેમજ જેતપુર, ગોંડલ સહિતના વિસ્તારોમાં પણ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે.રુપાલા વિવાદની આગ માત્ર રાજકોટ પુરતી ના રહેતા ગુજરાતના વિવિધ ભાગોમાં પહોંચી રહી છે. જે અંતર્ગત નાના-નાના ગામડાઓમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે.

આ સાથે જ ભાજપ ઉમેદવારને મત ના આપવાના સંકલ્પ લેવામાં આવી રહ્યાં છે. એવામાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ધર્મરથની તારીખ સહિતનો રુટ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે વિગતો આપતા ક્ષત્રિય સમાજના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે, આગામી 25 એપ્રિલના રોજ બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા માતાજીને ધજા અર્પણ કરવામાં આવશે. જે બાદ 10 વાગ્યે ધર્મ રથનું પ્રસ્થાન કરવામાં આવશે.આ ધર્મરથ દાતા ખાતે રોકાણ કરશે, જ્યાં એક વિચારસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બાદ આ રથ ફરતો-ફરતો પાલનપુર પહોંચશે, ત્યાં પણ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

‘લોકશાહી બચાવો, અસ્મિતા ટકાવો’ના સુત્ર સાથે નીકળેલો આજ રથ પાટણ જિલ્લામાં પણ ફરશે. જે બાદ ક્ષત્રિય સમાજ દ્વારા બારડોલી ખાતે પણ એક મહત્ત્વનું આયોજન કરવામાં આવ્યું છે.ધર્મરથથી રાજકોટ, વાંકાનેર, જસદણમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના આંદોલનના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. ક્ષત્રિય સમાજ ધર્મરથનો પ્રારંભ કરશે. રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરશોત્તમ રુપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી અણછાજતી ટિપ્પણીને લઈને ક્ષત્રિયોનો રોષ વકર્યો છે. રુપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સ્વીકારવામાં ન આવતા ક્ષત્રિયોએ હવે ભાજપના ખુલ્લા વિરોધમાં આવી ગયા છે અને ‘ઑપરેશન ભાજપ’ના નામે આંદોલનને વધારે વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર