Loksabha Election 2024 - ગુજરાતમાં ચૂંટણી મેદાનમાં 35 મુસ્લિમ ઉમેદવારો, કોંગ્રેસે એકને પણ ન આપી ટિકિટ

નેશનલ ડેસ્ક

સોમવાર, 6 મે 2024 (23:23 IST)
ગુજરાતમાં મુસ્લિમ સમુદાયના 35 ઉમેદવારો લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ કોંગ્રેસે આ વખતે પોતાની પરંપરા તોડી છે અને રાજ્યમાં આ સમુદાયના એક પણ વ્યક્તિને ટિકિટ આપી નથી. કોંગ્રેસે તર્ક આપ્યું છે કે ભરૂચ લોકસભા સીટ પર આ વખતે વિપક્ષ  ઈન્ડીયન નેશનલ ડેવલોપમેન્ટ ઈન્ક્લૂસીવ એલાયન્સ 'ઈન્ડિયા' ગઠબંધનના ઘટકો વચ્ચે સીટ વહેચણીના સમજૂતી હેઠળ આમ આદમી પાર્ટીની પાસે જતી રહી છે.  કોંગ્રેસ પરંપરાગત રીતે ભરૂચમાંથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારતી હતી. રાષ્ટ્રીય પક્ષોમાં માત્ર બહુજન સમાજ પાર્ટી (BSP)એ ગાંધીનગરથી મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યમાં 7 મેના રોજ મતદાન થશે.
 
2019ની ચૂંટણીમાં 43 ઉમેદવારો હતા.
બસપાએ 2019ની લોકસભા ચૂંટણીમાં પંચમહાલમાંથી એક મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો હતો.  ચૂંટણી પંચના ડેટા અનુસાર, આ વખતે ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે 35 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે 2019માં આ સમુદાયના 43 ઉમેદવારો મેદાનમાં હતા. સમુદાયના મોટાભાગના ઉમેદવારો ક્યાંક અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે તો ક્યાંક  નાના પક્ષો દ્વારા મેદાનમાં ઉતર્યા છે. કોંગ્રેસના ગુજરાત એકમના અલ્પસંખ્યક વિભાગના પ્રમુખ વજીર ખાન પઠાણે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્ટીએ પરંપરાગત રીતે રાજ્યમાં ખાસ કરીને ભરૂચમાંથી લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયમાંથી ઓછામાં ઓછો એક ઉમેદવાર ઉતારતી આવી છે. પરંતુ આ વખતે તે શક્ય નહોતું કારણ કે આ બેઠક AAP પાસે જતી રહી.
 
તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસે ગુજરાતની એક સીટ પરથી ઉમેદવાર ઉતારવાની ઓફર કરી હતી, પરંતુ સમુદાયના સભ્યોએ જીતની ઓછી શક્યતાઓને ધ્યાનમાં રાખીને તેનો ઇનકાર કર્યો હતો. પઠાણે કહ્યું કે કોઈ અન્ય કોઈ બેઠક પરથી મુસ્લિમ ઉમેદવારને ચૂંટણી લડવાનો કોઈ શક્યતા નથી. મોટી મુસ્લિમ વસ્તી ધરાવતી બે બેઠકો – અમદાવાદ પશ્ચિમ અને કચ્છ – અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે.
 
ગાંધીનગરમાં સૌથી વધુ 8 ઉમેદવારો
ભરૂચ ઉપરાંત કોંગ્રેસે ભૂતકાળમાં નવસારી અને અમદાવાદ (જ્યારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકમાં વિભાજિત નહોતું) મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. માયાવતીની આગેવાની હેઠળની બસપાએ આ વખતે ગાંધીનગરથી મોહમ્મદ અનીસ દેસાઈને ટિકિટ આપી છે, જ્યાં તેઓ પીઢ ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતમાં જે 25 લોકસભા બેઠકો માટે ચૂંટણી થવાની છે તેમાંથી ગાંધીનગરમાં સૌથી વધુ આઠ મુસ્લિમ ઉમેદવારો છે. ચૂંટણી પંચના આંકડા મુજબ જામનગર અને નવસારીમાં પાંચ-પાંચ, પાટણ અને ભરૂચમાં ચાર-ચાર, પોરબંદર અને ખેડામાં બે-બે અને અમદાવાદ પૂર્વ, બનાસકાંઠા, જૂનાગઢ, પંચમહાલ અને સાબરકાંઠામાં એક-એક મુસ્લિમ ઉમેદવારો છે. મોટાભાગના ઉમેદવારો અપક્ષ છે, જ્યારે 'રાઈટ ટુ રિકોલ પાર્ટી', 'ભારતીય જન નાયક પાર્ટી', 'સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી', 'ગરીબ કલ્યાણ પાર્ટી' અને 'પીપલ્સ પાર્ટી' જેવા કેટલાક નાના પક્ષોએ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.   ભરૂચના જંબુસર તાલુકાના સરોદ ગામના સરપંચ ઈસ્માઈલ પટેલ ભરૂચ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર