પંજાબ કિંગ્સ આઈપીએલ 2025માં શ્રેયસ ઐય્યરની કપ્તાની અને કોચ રિકી પોટિંગની નજર હેઠળ સારી ટીમ બનીને ઉભરી. ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ. અનકેપ્ડ ખેલાડીઓએ પંજાબ માટે સારું પ્રદર્શન કર્યું. પંજાબે 2014 પછી પહેલી વાર પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. કોચ પોન્ટિંગે પણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પંજાબમાં જોડાતા પહેલા, તેમણે માલિકોને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ ટીમના સંચાલનમાં સંપૂર્ણ નિયંત્રણ ઇચ્છે છે. તેમને ફ્રી હેન્ડ આપવાના પરિણામો આપણી સામે છે કે ટીમે આટલું સારું પ્રદર્શન કર્યું.
પોન્ટિંગે 4 ભારતીય ખેલાડીઓની પ્રશંસા કરી
રિકી પોન્ટિંગે કહ્યું કે મને લાગે છે કે ચાર ખેલાડીઓ ભારત માટે રમી શકે છે. હરાજીમાં જતા પહેલા, મેં ઘણા કલાકો સુધી પ્રિયાંશ આર્યના વીડિયો જોયા અને હું તેને કોઈપણ કિંમતે ટીમમાં ઇચ્છતો હતો. પ્રભસિમરન ફક્ત 24 વર્ષનો છે અને IPLના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ ખેલાડી બની ગયો છે. નેહલ વાધેરા મિડલ ઓર્ડરમાં ભારત માટે પણ રમી શકે છે. બીજી તરફ, શશાંક સિંહનો સ્ટ્રાઈક રેટ અને ઇનિંગ્સના અંતે ચોગ્ગા અને છગ્ગા ફટકારવાની કુશળતા તેને ઉપયોગી ખેલાડી બનાવે છે.
પ્રભસિમરન અને પ્રિયાંશનું પ્રદર્શન સારું રહ્યું
પ્રભસિમરન સિંહે ચાલુ સિઝનમાં પંજાબ કિંગ્સ માટે 499 રન બનાવ્યા છે. બીજી તરફ, પ્રિયાંશ આર્યના બેટમાંથી 424 રન આવ્યા છે, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. આ બંને ખેલાડીઓએ પંજાબ માટે ઓપનિંગ કરીને સારી શરૂઆત આપી છે અને પાવરપ્લેમાં વિરોધી બોલરોને ધક્કો માર્યો છે. બીજી તરફ, નેહલ વાઢેરાએ 298 રન બનાવ્યા છે અને શશાંક સિંહે 284 રન બનાવ્યા છે. આ બંને ખેલાડીઓએ ટીમ માટે મહત્વપૂર્ણ ઇનિંગ્સ પણ રમી છે.
અમે હરાજીથી જ ટીમ બનાવવાનું શરૂ કર્યું: પોન્ટિંગ
રિકી પોન્ટિંગે કહ્યું કે અમે હરાજીથી જ શરૂઆત કરી હતી જ્યારે અમે ફક્ત બે અનકેપ્ડ ખેલાડીઓને જાળવી રાખ્યા હતા, જેના માટે અમારી ઘણી ટીકા થઈ હતી. લોકો માનતા હતા કે અમે ભૂલ કરી છે, પરંતુ હું ટીમને ક્યાં લઈ જવા માંગુ છું તે અંગે ખૂબ જ સ્પષ્ટ હતો અને તેના માટે અમે યોગ્ય ખેલાડીઓ પસંદ કર્યા. અત્યાર સુધીની સિઝન સારી રહી છે અને મુંબઈ ઇન્ડિયન્સ સામેની છેલ્લી મેચમાં, છ અનકેપ્ડ ખેલાડીઓ ટીમમાં હતા જેમણે શાનદાર પ્રદર્શન કર્યું.