IPL 2022: રવિન્દ્ર જડેજાએ એમએસ ધોનીને CSKની કેપ્ટનશિપ ફરી સોંપવાનુ કર્યુ એલાન

શનિવાર, 30 એપ્રિલ 2022 (20:02 IST)
સીએસકે ના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ IPL 2022માં સતત ખરાબ પ્રદર્શન બાદ સીઝનની મધ્યમાં કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. તેમણે 8 મેચમાંથી 6 મેચમાં  હારનો સામનો કર્યા બાદ ફરીથી કેપ્ટનશિપ ધોનીને સોંપવાનો નિર્ણય કર્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે શનિવારે આની જાહેરાત કરી છે. જાડેજા પોતાની રમત પર ધ્યાન આપવા માંગતો હતો.
 
સીએસકે ની પ્રેસ રિલીઝ અનુસાર "રવીન્દ્ર જાડેજાએ વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અને તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો છે અને એમએસ ધોનીને સીએસકે નું નેતૃત્વ કરવા વિનંતી કરી છે. એમએસ ધોનીએ મોટા હિતમાં સીએસકેનુ નેતૃત્વ લેવાનુ અને જાડેજાને તેની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજુરી આપવાનુ સ્વીકાર્યુ છે. 
 
મહેન્દ્ર સિંહ ધોનીએ સિઝન 15ની શરૂઆતના થોડા દિવસો પહેલા કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી હતી. તેમના સ્થાને રવિન્દ્ર જાડેજાને આ જવાબદારી સોંપવામાં આવી હતી. જાડેજાની કપ્તાનીમાં ટીમને 8માંથી 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
 
CSKને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પ્રથમ જીત મળી હતી, જ્યારે તેણે બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને જીતી હતી. CSK વર્તમાન પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે.
 
ચેન્નઈ આ સિઝનની તેની નવમી મેચ રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમશે.
 
સીએસકેના ખરાબ ફોર્મ ઉપરાંત, જાડેજાએ ટૂર્નામેન્ટમાં પણ સંઘર્ષ કર્યો હતો, તેણે 121.7ના સ્ટ્રાઈક રેટથી 92 બોલમાં માત્ર 112 રન બનાવ્યા હતા, જ્યારે 8.19ના ઈકોનોમી રેટથી આઠ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર